પત્રકારોએ કર્યો જિજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર
ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની મંગળવારે પત્રકાર પરિષદ હતી, જેનો પત્રકારોએ બહિષ્કાર કર્યો હતો
ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની મંગળવારે પત્રકાર પરિષદ હતી, જેનો પત્રકારોએ બહિષ્કાર કર્યો હતો. મંગળવારે જિજ્ઞેશ એક કાર્યક્રમાં ભાગ લેવા માટે ચેન્નાઇ આવ્યા હતા. સામાજિક કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને એકેડેમિક જગત સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત બાદ તેમણે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં પ્રિંટ અને ટીવી એમ બંને જર્નાલિસ્ટ હાજર હતા. એ સમયે જિજ્ઞેશ મેવાણી રિપબ્લિક ટીવીનું માઇક જોઇ ભડકી ઉઠ્યા હતા. તેમણે રિપબ્લિક ટીવીના પત્રકારને ત્યાંથી જવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, 'રિપબ્લિક ટીવીના રિપોર્ટર કોણ છે? હું રિપબ્લિક સાથે વાત કરવા નથી માંગતો.' કેટલાક પત્રકારોએ પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે, તેઓ માત્ર એક બાઇટ લેવા આવ્યા છે, વિશેષ ઇન્ટરવ્યુ માટે નહીં.
ત્યારે કથિત રીતે જિજ્ઞેશ મેવાણીએ સામે કહ્યું કે, 'રિપબ્લિક ટીવી સાથે વાત ન કરવાની મારી નીતિ છે. હું સવાલોના જવાબ નહીં આપું, પહેલા રિપબ્લિકનું માઇક ખસેડો.' સ્થિતિ બગડતાં અન્ય ટીવી ચેનલો અને પ્રિંટના પત્રકારોએ આ પત્રકાર પરિષદનો બહિષ્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ દિલ્હીમાં આયોજિત હુંકાર રેલીમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર સાથે મીડિયાને પણ નિશાન બનાવ્યું હતું અને તેમણે ભરસભામાં સમાચાર ચેનલ રિપબ્લિક ટીવીની મજાક ઉડાવી હતી. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે, 'મને ચાર દિવસથી ખૂબ માથુ દુખી રહ્યું છે, તમે કહી શકો છો કે મેં કઇ ન્યૂઝ ચેનલ જોઇ હશે?' આ સવાલના જવાબમાં ભીડે રિપબ્લિક ટીવીનું નામ લીધું હતું. જિજ્ઞેશે આગળ કહ્યું કે, 'બની શકે કે, આજે રાત્રે ટીવીમાં તમને જોવા મળે કે, ઉમર ખાલિદે કનૈયાને કુરકુરેનું પેકેટ કેમ આપ્યું.' આ સાંભળી સભામાં હાજર લોકો હસવા માંડ્યા અને જિજ્ઞેશે આગળ કહ્યું કે, 'ધિસ ઇસ લાઇવ ઓન બનાના રિપબ્લિક.'