35 એ પર વિરોધ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ ટાળવામાં આવી શકે છેઃ સૂત્ર
રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ 35એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે.
જમ્મુ કાશ્મીરમાં યોજાનાર પંચાયત ચૂંટણી પર રાજકીય વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ 35એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે. સમાચાર મુજબ આ ચૂંટણી જાન્યુઆરી સુધી ટાળવામાં આવી શકે છે.
મોટા પક્ષોએ કર્યો છે બહિષ્કાર
એનડીટીવીના સમાચાર મુજબ આ અંગે આજે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામા રાજ્ય સલાહકાર પરિષદ (એસસી) દ્વારા ઔપચારિક નિર્ણય લેવાની સંભાવના છે. રાજ્યના બે મોટા પક્ષો તરફથી ચૂંટણીના બહિષ્કાર કરવા પર કેન્દ્રની ભાજપ સરકાર પણ વિચારમાં પડી ગઈ છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે મહેબૂબા મુફ્તીની તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી. રાજ્યપાલે તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે તે કોઈ પણ પ્રકારની ચૂંટણીનો બહિષ્કાર ના કરે.
આ પણ વાંચોઃ SC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ
મહેબૂબા મુફ્તીએ કર્યો છે વિરોધ
રાજ્યમાં શહેરી સ્થાનિક ચૂંટણી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં થશે તેમજ પંચાયત ચૂંટણી ડિસેમ્બરમાં થવાની છે. પરંતુ 35એ અંગે રાજ્યમાં વિરોધ સતત ચાલુ છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે કલમ 35એ ના કારણે તેમનો પક્ષ રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાગ નહિ લે. મહેબૂબાએ સોમવારે શ્રીનગરમાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ‘35એને બચાવવા માટે અમે કોઈ પણ સીમા સુધી જઈશુ.' મહેબૂબાએ કહ્યુ કે રાજ્યના લોકોએ ઘણુ બલિદાન આપ્યુ છે અને કોઈ પણ કલમ 35એ ની માન્યતા સાથે રમત નહિ રમી શકે.
ઓક્ટોબરમાં થવાની પંચાયત ચૂંટણી
આ પહેલા કલમ 35એ અને કલમ 370 પર ફારૂખ અબ્દુલ્લાએ ધમકી આપતા કહ્યુ હતુ કે સરકારે જો કલમ 35એ અને કલમ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ ન કર્યુ તો તેઓ પંચાયતની સાથે સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરશે. વળી, સરકારની કોશિશ છે કે આ ચૂંટણી કોઈ પણ પરિસ્થિતિમાં થાય. તેમણે વિરોધ કરનારા પક્ષોને કહ્યુ છે કે તેઓ પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે.
આ પણ વાંચોઃ UN ચીફ: ‘જળવાયુ પરિવર્તનથી અસ્તિત્વનું જોખમ', કેરળ પૂરનુ ઉદાહરણ આપ્યુ