અમદાવાદમાં દલિત મુદ્દે વિપક્ષ કોંગ્રેસ કરી ધરણા
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
અમદાવાદમાં દલિત મુદ્દે વિપક્ષ કોંગ્રેસ કરી ધરણા
અમદાવાદમાં કલેક્ટર કચેરી નજીક દલિત મુદ્દાને લઇને વિપક્ષ કોંગ્રેસે ધરણા કાર્યક્રમ યોજ્યો છે. જેમાં શંકર વાધેલાથી લઇને કોંગ્રેસના તમામ મોટો નેતાઓએ હાજરી આપીને રાજ્ય સરકારની દલિત નીતિઓ વિરુદ્ધ નીતિ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જો કે સ્થિતિ ગંભીરતાને જોઇને અહીં ચાંપતો પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં મેટ્રોનો પીલર ધરાશાયી થતા બાંધકામની પોલ ખુલી
અમદાવાદના વસ્ત્રાલમાં નિર્માણાધીન મેટ્રોનો હીરાબા સ્કૂલ પાસેનો લોખંડના સળિયા ભરેલો બીમ ધરાશાયી થઈ ગયો હતો. આજે સવારે બનેલી આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ. પીલરને કટિંગ કરીને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં એક બાઇક દબાઈ ગયું હતું. જો કે તે બાદ બાંધકામ કેટલું કાચુ છે તેની પોલ ખુલી ગઇ હતી. જે અંગે હવે તપાસની માંગ ઉઠી છે.
હવે ટુ વ્હિલરમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત
હવેથી ગુજરાતમાં ટુ વ્હિલરમાં પાછળ બેસતી મહિલાઓ તેમજ 12 વર્ષથી ઓછી વયના બાળકો કિશોરો માટે હેલ્મેટ પહેરવાનો નિર્ણય ફરજિયાત કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. તો 50 સીસી કરતાં ઓછી ક્ષમતાના એન્જિન ધરાવતા ટુ વ્હીલર વાહન ચાલકે પણ હેલ્મેટ પહેરવું પડશે. અગાઉ દ્વિચક્રી વાહનોમાં પાછળ બેસતી સ્ત્રીઓ તેમજ 12 વર્ષથી ઓછી વયનાં બાળકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ અપાઈ હતી પણ સરકારે એ જોગવાઈ રદ્દ કરી છે.
અમદાવાદમાં લકઝરી બસની અડફેટથી એક્ટિવા ચાલકનું મોત
સોમવારે સાંજે કેડિલા બ્રિજ પર એક પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી બસનું પૈડું ફરી વળતાં એક્ટિવા પર જઈ રહેલા આધેડનું સ્થળ પર મોત થયું છે. હજી બે-ત્રણ દિવસ પહેલાં ટ્રાફિકનાં જોઇન્ટ કમિશનરે શહેરમાં ભારે વાહન જોવા નહિ મળે તેમ જણાવ્યા બાદ ફરી ભારે વાહને એક વ્યકિતનો ભોગ લીધો છે. આ એક્ટિવા ચાલકનું નામ પ્રવિણ ઠક્કર હતું. 62 વર્ષના પ્રવિણ ભાઇના માથા પરથી લકઝરીનું ટાયર ફરી વળતા તેમની ખોપરી ફાટી ગઈ હતી. અકસ્માત બાદ લકઝરીનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
એક તરફ વરસાદની ખેંચ બીજી તરફ નહેરોમાં ગાબડાથી નુકસાન
થરાદ તાલુકાના સવપુરા ગામની નર્મદાની શાખા નહેર ઓવરફલો થવાથી પડેલા ગાબડાને પરિણામે ઉગેલા પાક પર પાણી ફરી વળ્યા હતા. જેના પરિણામે આસપાસના ખેતરમાં ખેડૂતોએ વાવેતર કરેલા જુવાર, બાજરી અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા વિભાગના એસ.પી. કિલાવતએ જણાવ્યું હતું કે, મુખ્ય કેનાલમાં અચાનક વધુ પાણી આવતાં રાછેણા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ઓવરફ્લો થવાથી ગાબડું પડ્યું છે. નોંધનીય છે કે હજી સુધી ઉત્તર ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ નથી પડ્યો ત્યારે પાણીનો આ વ્યય લોકોને આવનારા દિવસોમાં નુક્શાન પહોંચાડશે.
ધોરાજીમાં જૂની અદાવતમાં મકાન સળગાવ્યું, મહિલા દાઝી
ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ રસૂલપરા વિસ્તારમાં આજથી લગભગ એકાદ માસ પહેલાં બે મુસ્લિમ જુથો વચ્ચે કોઇ બાબતે મારામારી થયેલી હતી તેમાં દસેક લોકો ઘવાયા હતા તેનો ખાર રાખીને ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસના સમય દરમ્યાન નશીમાબેન સંધિના મકાન પર કેરોસીન છાંટી આગ લગાવી દેતા નસીમાબહેન દાઝી ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ અને મામલો કાબૂમાં લીધી હતી.
ઉનાના પીડિત દલિતોને અપાઇ રજા આજે જશે પોતાના વતન
સમઢિયાળા ચારેય દલિત પીડિતો રમેશ સરવૈયા, અશોક સરવૈયા, વશરામ સરવૈયા અને બેચર સરવૈયાને 16 જુલાઇના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આજે આ પીડિતોને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે રજા આપવામાં આવી છે. પરંતુ પીડિતોએ પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ચારેય પીડિતોને 11 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. આજે સાંજે પીડિતો રાજકોટથી પોતાના ગામ સમઢિયાળા જશે.
બનાસકાંઠામાં દલિતો ધર્મ પરિવર્તન તરફ વળ્યા
બનાસકાંઠામાં ઉના ઘટનાના વિરોધમાં આજે મંગળવારે યોજોયલી મૌન રેલી બાદ અગ્રણીઓએ ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દલિતોઓ ધિક્કાર રેલીના નામે આ મૌન રેલી કાઢી હતી. આ અંગે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઇ ભાટીયાએ જણાવ્યું હતું કે, દલિત સમાજને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેથી સમાજના 15,000ની વધુ લોકો બૌદ્ધધર્મ અંગીકાર કરશે. જેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 200 ઉપરાંત ફોર્મ ભરાઇ ચૂક્યા છે. આજે સવારે 11 કલાકે પાલનપુરમાં દલિત સમાજના યુવકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હિંડોળા દર્શનમાં ભક્તજનો ઉમટ્યા
દેવપોઢી એકાદશીથી વૈષ્શણવ, સ્વામિનારાયમ તેમજ કૃષ્ણ મંદિરોમાં શરૂ થયેલા હિંડોળા ઉત્સવના દર્શન માટે ભક્તજનો ઉમટી રહ્યા છે. ડાકોરમાં ફૂલોના હિંડોળાના દર્શન કરવા માટે મોટી ભીડ ઉમટી હતી. ડાકોરના આ હિંડોળા ઉત્સવમાં આગામી દિવસોમાં લીલોતરી શાક, સૂકામેવા, પવિત્રા, શાકભાજીના નયનરમ્ય હિંડોળા બનાવવામાં આવશે.