કૈરાનામાં જયંત ચૌધરીનો એ આખરી દાવ જેણે ભાજપને હરાવ્યુ
યુપીની બહુચર્ચિત લોકસભા સીટ કૈરાના પર વિપક્ષોએ ભાજપને પછાડીને મોટી જીત મેળવી છે. કૈરાનામાં રાલોદની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી સપા ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપની ઉમેદવાર મૃગાંકા સિંહને હરાવી દીધી છે.
યુપીની બહુચર્ચિત લોકસભા સીટ કૈરાના પર વિપક્ષોએ ભાજપને પછાડીને મોટી જીત મેળવી છે. કૈરાનામાં રાલોદની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી સપા ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપની ઉમેદવાર મૃગાંકા સિંહને હરાવી દીધી છે. તબસ્સુમ હસનને જ્યાં કોંગ્રેસનું સમર્થન મળ્યુ હતુ ત્યાં બસપાએ પણ આ સીટ પર પોતાનો ઉમેદવાર નહોતો ઉતાર્યો. કૈરાનાની જીતને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે એક આકરી ચુનોતી રૂપે જોવામાં આવે છે અને આ ચુનોતી ઉભી કરવામાં રાલોદ નેતા જયંત ચૌધરીએ મોટી ભૂમિકા નિભાવી. જયંતે છેલ્લા સમયમાં એક એવો દાવ ખેલ્યો જેણે ભાજપને જીતથી દૂર કરી દીધુ.
શું હતો એ આખરી દાવ?
કૈરાના સીટ પર રાલોદ ઉમેદવાર તબસ્સુમ હસનના દિયર કુંવર હસને પણ એક અન્ય પાર્ટી લોકદળથી ઉમેદવારી નોંધાવી હતી. કુંવર હસન 2014માં બસપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. 2014માં લોકસભા ચૂંટણીમાં કુંવર હસનને 1 લાખ 60 હજાર મત મળ્યા હતા જેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવાર હુકુમ સિંહને મળ્યો હતો. કુંવર હસનના ભાઈ અને ચેરમેન અનવર હસનની પણ કૈરાના વિસ્તારમાં મજબૂત પકડ માનવામાં આવે છે. આ વખતે પણ કુંવર હસનના મેદાનમાં ઉતરવાથી માનવામાં આવી રહ્યુ હતુ કે તે મોટી સંખ્યામાં મુસ્લિમ મત મેળવશે જેનો ફાયદો ભાજપ ઉમેદવાર મૃગાંકા સિંહને મળી શકે છે.
અને લગભગ અશક્ય બની ગઈ ભાજપની જીત
રાલોદ નેતા જયંત ચૌધરીએ પોતાનો આખરી દાવ ખેલ્યો. જયંત ચૌધરીએ ચૂંટણીના છેલ્લા દિવસોમાં પોતે જઈને કુંવર હસન સાથે મુલાકાત કરીને તેમને સમર્થન આપવા માટે રાજી કર્યા અને છેવટે કુંવર હસને પોતાની ભાભી તબસ્સુમ હસનને પોતાનું સમર્થન આપી દીધુ. જયંત ચૌધરી સાથે વાતચીત બાદ કુંવર હસને રાષ્ટ્રીય લોકદળમાં શામેલ થઈને ચૂંટણીમાંથી હટી જવાનું એલાન કર્યુ છે. રાલોદ-સપા-બસપા અને કોંગ્રેસના મહાગઠબંધન બાદ કૈરાના સીટ પર આ સૌથી મોટી રાજકીય ઉલટફેર હતી જેણે ભાજપની જીતને લગભગ અશક્ય બનાવી દીધી.
કેવી રીતે થઈ કૈરાનામાં જીતની તૈયારી
તમને જણાવી દઈએ કે કૈરાના સીટ પર પહેલા રાલોદ નેતા જયંત ચૌધરી પોતે મહાગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવા માંગતા હતા. આના માટે જયંત ચૌધરીએ બસપા સુપ્રિમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી પરંતુ વાત જામી નહિ. પહેલા નક્કી થયુ કે કૈરાનામાં સપા ઉમેદવાર અને નૂરપુરમાં રાલોદનો ઉમેદવાર ચૂંટણી લડશે પરંતુ બાદમાં ચૌધરી અજીત સિંહે અખિલેશ યાદવ સાથે વાત કરીને તેમને કૈરાનાની સીટ રાલોદને આપવા માટે રાજી કર્યા. ત્યારબાદ સપા ઉમેદવાર તબસ્સુમ હસનને રાલોદની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા.