કપિલ સિબ્બલે આયોજન પંચ અંગે પ્રશ્નો ઉઠાવ્યા
સિબ્બલે જણાવ્યું કે "જો આયોજન પંચ કહે છે કે જે પરિવાર રૂપિયા પાંચ હજારમાં એક મહિનો ગુજરાન ચલાવે તે ગરીબ નથી તો આ દેશમાં ગરીબીને પરિભાષિત કરવાની પદ્ધતિમાં ક્યાંકને ક્યાંક ગરબડ છે."
કોલકત્તામાં એક કાર્યક્રમ દરમિયાન શુક્રવારે કપિલ સિબ્બલે જણાવ્યું કે "આયોજન પંચ કહે છે કે રૂપિયા પાંચ હજારમાં ગુજરાન ચલાવી શકાય છે. કોઇ પરિવાર માત્ર રૂપિયા પાંચ હજારમાં આખો મહિનો ગુજરાન કેવી રીતે ચલાવી શકે?"
બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્વિટર પર કરેલા ટ્વિટમાં જણાવ્યું કે "હું આયોજન પંચની ગરીબી રેખા નિર્ધારણના માપદંડોને સમજવામાં અસમર્થ છું. આ અત્યંત અમૂર્ત પદ્ધતિ છે અને દરેક વિસ્તાર માટે એક જ માપદંડ અમલી બનાવી શકાય નહીં. પહેલા ગરીબીની ઓળખ કોઇ પરિવારમાં કુપોષણ અને લોહીની ઉણપના સ્તરને આધારે સરળતાથી કરવામાં આવતી હતી."
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે આયોજન પંચે જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં રૂપિયા 4,080 પ્રતિ માસ અને શહેરી વિસ્તારમાં રૂપિયા 5000 પ્રતિ માસ ખર્ચ કરનારા પાંચ વ્યક્તિના કુટુંબને ગરીબ માનવામાં નહીં આવે. તેંદુલકર સમિતિએ સૂચવેલી વિધિ અનુસાર આયોજન પંચે ગામો માટે ગરીબી રેખા રૂપિયા 816 પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ અને શહેરી વિસ્તારો માટે રૂપિયા 1000 પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ ખર્ચ નક્કી કર્યો હતો.