કર્ણાટકમાં પોર્ટફોલિયો પર સંમતિ, જેડીએસને નાણા તો કોંગ્રેસને ગૃહ મંત્રાલય
હાલમાં મળી રહેલા સમાચારો અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં મંત્રાલયો પર સંમતિ બની ગઈ છે.
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારમાં વિભાગોની વહેંચણી પર હજુ સુધી સંમતિ બની શકી નહોતી. હાલમાં મળી રહેલા સમાચારો અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં મંત્રાલયો પર સંમતિ બની ગઈ છે. સમાચારની માનીએ તો જેડીએસ પાસે નાણા મંત્રાલય રહેશે જ્યારે કોંગ્રેસને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યુ છે. મંત્રાલયોની વહેંચણણી અંગે પેદા થયેલા મતભેદોના કારણે હજુ સુધી કેબિનેટની રચના થઈ નથી. કોંગ્રેસ અને જેડીએસના નેતાઓમાં છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.
મુખ્યમંત્રી કુમારસ્વામી ખેડૂતોની લોન માફ કરવાના પોતાના ચૂંટણી વચનને પૂરુ કરવા માટે નાણા મંત્રાલયને પોતાની પાસે રાખવા ઈચ્છે છે. વળી, કોંગ્રેસનો તર્ક છે કે ગઠબંધનની સરકારમાં હંમેશા નાણા મંત્રાલય ઉપમુખ્યમંત્રી પાસે જ રહ્યુ છે. સૂત્રો મુજબ કોંગ્રેસ નાણા મંત્રાલય જેડીએસના ખાતામાં આપવા માટે રાજી થઈ ગઈ છે. કોંગ્રેસને નાણા મંત્રાલયના બદલામાં ગૃહ મંત્રાલય, ભારે ઉદ્યોગ, ઉર્જા, આઈટી/બીટી, પર્યટન અને શિક્ષણ મંત્રાલય મળ્યુ છે જ્યારે જેડીએસને પીડબ્લ્યુડી, રેવન્યુ અને કૉપરેટીવ અફેર્સ મંત્રાલય પણ આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં 34 સંભવિત મંત્રીસ્તરીય પદોમાંથી કોંગ્રેસને 22 મળશે જેમાં ઉપમુખ્યમંત્રી પરમેશ્વરનું નામ પણ શામેલ છે. જેમણે પહેલા જ શપથ ગ્રહણ કરી લીધા છે. જ્યારે જેડીએસને 12 મંત્રાલય મળવાની આશા છે. સમાચાર મુજબ એક કોંગ્રેસ નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યુ કે આ પ્રકારની સ્થિતિ માટે પક્ષ તૈયાર નહોતુ અને એટલા માટે જ કેબિનેટની રચના કરવામાં વાર લાગી રહી હતી.