કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસે ધારાસભ્યોને આપી ચેતવણી
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ પાર્ટીના તમામ ધારાસભ્યોને 18 જાન્યુઆરીએ યોજાનાર બેઠકમાં ભાગ લેવાના નિર્દેશ આપ્યા છે.
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર પર જોખમના વાદળો ઘેરાઈ રહ્યા છે. જે રીતે બે ધારાસભ્યોએ સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધુ છે તે બાદ ભાજપે કહ્યુ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બે દિવસમાં પડી ભાંગશે. વળી, તમામ અસમંજસ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ પાર્ટીના તમામ ધારાસભ્યોને 18 જાન્યુઆરીએ યોજાનાર બેઠકમાં ભાગ લેવાના નિર્દેશ આપ્યા છે. સિદ્ધારમૈયાએ તમામ ધારાસભ્યોને નિર્દશ જાહેર કરીને ચેતવણી આપી છે કે જે પણ ધારાસભ્ય આ બેઠકમાં શામેલ નહિ થાય તેની સામે પક્ષબદલ કાયદો લાગુ થશે અને માની લેવામાં આવશે કે તેણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે અને પાર્ટીમાં તેનુ પ્રાથમિક સભ્યપદ રદ કરી દેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે મંગળવારે મોડી રાતે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશ અને કેપીજેપીના ધારાસભ્ય આર શંકરે સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધુ હતુ. બંનેએ પોતાનું સમર્થન પાછુ લેવાનો પત્ર રાજ્યપાલને મોકલી દીધો છે. આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સરકારમાં ભરોસો વ્યક્ત કરતા કહ્યુ કે રાજ્ય સરકાર પર કોઈ સંકટ નથી. બંને ધારાસભ્યો સરકારમાંથી અલગ થયા બાદ પણ રાજ્યની સરકારને કોઈ ખતરો નથી. તેમણે કહ્યુ કે અમારી સરકાર સ્થિર અને સંપૂર્ણપણે નિશ્ચિંત છે મને પોતાની તાકાત પર પૂરો ભરોસો છે. રિપોર્ટ અનુસાર મલ્લિકાર્જૂન ખડગે આજે બેંગલુરુ જઈ શકે છે અને 18 જાન્યુઆરીએ ધારાસભ્યો સાથે યોજાનાર બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં બધા ધારાસભ્યોની ઉપસ્થિતિને અનિવાર્ય કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્દેશ જાહેર કર્યા છે કે 18 જાન્યુઆરી સુધી બધા ધારાસભ્ય આઈટીસી ગ્રાન્ડ હોટલમાં જ રોકાય, તેમને બાદમાં જણાવવામાં આવશે કે શું કરવાનું છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર રાજ્યમાં સરકારના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર પરનું સંકટ ટળ્યું, ભાજપનું ઓપરેશન લોટસ ફેલ