સૌથી મોટો સવાલ, રાજ્યપાલ સરકાર બનાવવા માટે કોને બોલાવશે?
કર્ણાટકમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ચૂંટણી પરિણામો પર પળે પળ બદલાવ આવી રહ્યા છે. જેડીએસને સમર્થન આપીને સરકાર બનાવવાની રજૂઆત બાદ રાજકીય સમીકરણ બદલતા નજરે પડી રહ્યા છે.
કર્ણાટકમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ચૂંટણી પરિણામો પર પળે પળ બદલાવ આવી રહ્યા છે. જેડીએસને સમર્થન આપીને સરકાર બનાવવાની રજૂઆત બાદ રાજકીય સમીકરણ બદલતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જેડીએસને પોતાનો સીએમ ઉમેદવાર નક્કી કરવા માટે કહી દેવામાં આવ્યું છે. હવે આ બદલતા સમીકરણ પર સૌની નજર કર્ણાટકના રાજ્યપાલ પર ટકી છે. જો બંને પક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરે તો રાજ્યપાલ સામે એ સવાલ હશે કે તે કોને પહેલા આમંત્રિત કરે છે.
હવે રાજ્યપાલ પર નજર
કર્ણાટકના ચૂંટણી પરિણામો પર નજર નાખીએ તો સૌથી મોટા દળ તરીકે રાજ્યપાલ પહેલા ભાજપને તક આપશે. જો તે સરકાર બનાવવા અને બહુમત સાબિત કરવામાં અસફળ રહે તો રાજ્યપાલ જેડીએસને સરકાર બનાવવાની તક આપશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પક્ષના સમર્થનના એલાન બાદ જેડીએસ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થયુ તો જેડીએસ સરકાર બનાવવામાં સફળ પણ થઈ શકે છે.
કુમારાસ્વામીને સીએમ પદની ઓફર
જેડીએસ પ્રવકતા તનવીર અહમદે જણાવ્યુ કે તેમની પાર્ટીએ કોંગ્રેસની ઓફર માની લીધી છે અને રાજ્યપાલ સાથે દાવો કરીને તે સરકાર બનાવવા જઈ રહી છે. તનવીર અહમદે કહ્યુ કે જનતાએ જે રીતે મેન્ડેટ આપ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે તે કોંગ્રેસ અને ભાજપ બંનેની સરકાર નથી ઈચ્છતી. તેમણે સંકેત આપ્યા છે કે 18 તારીખે જેડીએસની સરકાર શપથ લેશે.
કર્ણાટકમાં ફસાયો પેચ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંગે નવા આંકડા પર નજર કરીએ તો એક સમયે 115 સીટો સુધી પહોંચેલી ભાજપનો આંકડો 104 પર અટકી જતો દેખાઈ રહ્યો છે. ભાજપ સૌથી મોટો પક્ષ તો બની ગયો છે પરંતુ બહુમતથી હજુ પણ 8 સીટ દૂર છે. વળી બીજી તરફ કોંગ્રેસ પક્ષ 78 સીટો પર આગળ છે. ત્રીજા નંબરે જેડીએસ અલાયન્સ છે જેની પાસે 40 સીટો જતી દેખાઈ રહી છે. જો આ આંકડાઓને ફાઈનલ માનીએ તો સરકાર બનાવવાનો જાદૂઈ આંકડો કોઈ પણ પક્ષ પાસે નથી. એવામાં છેલ્લો નિર્ણય રાજ્યપાલનો હશે કે તે કોને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે છે.