રાહુલ ગાંધીએ રજૂ કર્યો મોદી સરકારનો રિપોર્ટ, રિઝલ્ટ આપ્યુ 'ફેલ'
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રાજનીતિએ જોર પકડ્યુ છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રાજનીતિએ જોર પકડ્યુ છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કૃષિ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'એફ' એટલે કે ફેલ ગ્રેડ આપ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ શાસિત રાજ્ય હોવાના કારણે કર્ણાટકના ખેડૂતોને 8500 કરોડની દેવા માફી અથવા ટેકાના ભાવોમાં કોઈ યોગદાન આપ્યુ નથી.
પ્રધાનમંત્રીની પાક વીમા યોજનાથી ખેડૂતોને કોઈ લાભ થયો નથી
રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રીની પાક વીમા યોજનાથી ખેડૂતોને કોઈ લાભ થયો નથી, માત્ર પ્રાઈવેટ કંપનીઓને જ ફાયદો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કર્ણાટકના ખેડૂતોને વધુ ફાયદો મળવો જોઈએ. એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકના ખેડૂતોની કોંગ્રેસ સરકારે અનદેખી કરી દીધી છે.
પાકના ટેકાના ભાવો પર પણ પ્રશ્નો ઉભા કર્યા
કોંગ્રેસ અધ્યક્ષે ખેડૂતોના પાકના ટેકાના ભાવો પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કર્ણાટકના ખેડૂતો માટે ખેતીની પડતર કિંમતનો 50 ટકા ભાગ પણ આપ્યો નથી. તમને જણાવી દઈએ કે આજે રાહુલનો કર્ણાટકનો આ વર્ષનો આઠમો પ્રવાસ છે. બે દિવસીય કર્ણાટક પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગુરુવારે બીદર જિલ્લાના ઔરદ, ભાલ્કી અને હુમનાબાદ વિસ્તારમાં નુક્કડ સભાઓ કરશે. રાહુલ ગાંધી 7 મે થી 10 મે સુધી ફરીથી રાજ્યનો પ્રવાસ કરશે.
ગિરિરાજ સિંહે નિશાન સાધ્યુ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે તેમને ના તો ખેડૂત વિશે ખબર છે ના તો પાક વિશે અને ના તો વીમા વિશે કંઈ ખબર છે. રાહુલ ગાંધી નેચરલ લીડર નથી. તેમને કંઈ જ ખબર હોતી નથી. દેશની સમસ્યાઓ શું છે, ખેડૂતોના વીમા છે કે નહિ, તેમના શું ફાયદા કે નુકશાન છે તેમને કંઈ જ ખબર નથી.