ફ્લોર ટેસ્ટ પહેલા કુમારસ્વામીના 5 વર્ષના કાર્યકાળ પર ઉઠ્યા સવાલ
કર્ણાટકમાં આજે જેડીએસ-કોંગ્રેસ સરકારનું વિધાનસભામાં બુહમત પરીક્ષણ છે. દરેકની નજર એના પર ટકેલી છે કે શું આ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહિ.
કર્ણાટકમાં આજે જેડીએસ-કોંગ્રેસ સરકારનું વિધાનસભામાં બુહમત પરીક્ષણ છે. દરેકની નજર એના પર ટકેલી છે કે શું આ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહિ. પ્રદેશના નવા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આ બાબત અંગે પૂરેપૂરા આશ્વસ્ત છે કે તે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે કુમારસ્વામીએ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ દરમિયાન દેશભરના સ્થાનિક નેતા સહિત સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ પણ શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કોંગ્રેસનો અલગ ગેમ પ્લાન?
જે રીતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા કોંગ્રેસ-જેડીએસે ગઠબંધનનું એલાન કર્યુ તે બાદ એ જોવાનું ઘણુ રસપ્રદ રહેશે કે માત્ર 37 ધારાસભ્યોવાળી જેડીએસના મુખ્યમંત્રી કુમારસ્વામીને કોંગ્રેસ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની તક આપશે કે નહિ. જો કે કુમારસ્વામીએ ઘણી વાર કહ્યુ છે કે મુખ્યમંત્રીના કાર્યકાળમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહિ થાય અને તે 5 વર્ષ સુધી પ્રદેશના મુખ્યમંત્રી રહેશે. પરંતુ જો પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી પરમેશ્વરના નિવેદન પર નજર નાખીએ તો આ કંઈક ગેમ પ્લાન બતાવી રહી છે.
હજુ સુધી નથી લેવાયો નિર્ણય?
જી પરમેશ્વરે ગુરુવારે કહ્યુ કે મુખ્યમંત્રીના રોટેશન પર હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ તરફથી આ નિવેદન ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા આવ્યુ છે. જો કે એ સવાલ ચર્ચાવા લાગ્યો છે કે શું કુમારસ્વામી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે. ગુરુવારે જ્યારે પત્રકારોએ પરમેશ્વર સાથે ખુલીને એ સવાલ કર્યો કે શું કુમારસ્વામી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે તો તેમણે સ્પષ્ટ કહ્યુ કે આના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઉલટપલટ ચાલુ
પરમેશ્વરે કહ્યુ કે અમે આના પર કોઈ ચર્ચા કરી નથી. અમે હજુ પણ આના પર નિર્ણય કરી રહ્યા છે કે કોને કયુ મંત્રાલય આપવામાં આવે. મુખ્યમંત્રી પાંચ વર્ષ રહેશે કે નહિ આ તમામ વાતો પર હજુ નિર્ણય લેવાનો બાકી છે. એક તરફ જ્યાં બંને પક્ષો એ વાતનો ઈનકાર કરી રહ્યા છે કે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની તકરાર છે તો બીજી તરફ મંત્રાલયની વહેંચણી માટે પણ બંને વચ્ચે ઉલટપલટ ચાલુ છે.
મંત્રાલયની વહેંચણી પર પણ ખેંચતાણ
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસના ખાતામાં કુલ 78 સીટો આવી છે જ્યારે જેડીએસના ખાતામાં માત્ર 38 સીટો આવી છે. કર્ણાટકમાં કુલ 222 સીટો પર થયેલ ચૂંટણીમાં ભાજપે 104 સીટો પર જીત મેળવી છે. પ્રદેશમાં કુલ 34 મંત્રીઓની જગ્યા છે. જેમાંથી માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના ખાતામાં 22 મંત્રાલય જશે અને જેડીએસના ખાતામાં 12 મંત્રાલય જઈ શકે છે. જો કે હજુ તેના પર અંતિમ નિર્ણય થયો નથી કે કયા પક્ષ પાસે કયુ મંત્રાલય રહેશે.