કરણી સેના ફરીથી રંગમાં, રાજસ્થાનના શિક્ષણમંત્રીનું નાક-કાન કાપવાની ધમકી
રાજપૂત કરણી સેનાએ રાજસ્થાન સરકારમાં મંત્રી કિરણ માહેશ્વરીને નાક-કાન કાપવાની ધમકી આપી છે.
રાજપૂત કરણી સેનાએ રાજસ્થાન સરકારમાં મંત્રી કિરણ માહેશ્વરીને નાક-કાન કાપવાની ધમકી આપી છે. કિરણ માહેશ્વરી રાજ્યમાં શિક્ષણ મંત્રી છે. કરણી સેનાનો આરોપ છે કે કિરણે રાજપૂતોની તુલના ઉંદરો સાથે કરી છે જેને તે સહન નહિ કરે. કરણી સેનાએ કિરણ માહેશ્વરીને તરત જ બિનશરતી માફી માંગવા નહિતર પરિણામ ભોગવવાની ધમકી આપી છે.
સોમવારે પત્રકારોએ કિરણ માહેશ્વરીને આગામી વિધાનસભા ચૂંટણીઓમાં સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિના ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાના નિર્ણય પર સવાલ કર્યા હતા. આના પર માહેશ્વરીએ કટાક્ષના અંદાજમાં કહ્યુ હતુ કે કેટલાક વરસાદી ઉંદરો છે જે ચૂંટણી સમયે દરમાંથી નીકળે છે. જો કે કિરણે બાદમાં તેની સ્પષ્ટતા કરતા કહ્યુ કે તેમનો ઈશારો વિશેષ જાતિ કે સમુદાય વિશેષ તરફ નહોતો.
મંગળવારે બેઠક બાદ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ મહિપાલ મકરાણાએ એક વીડિયો જારી કરીને કહ્યુ કે રાજસ્થાનમાં રાજપૂત સમાજના સમર્થનના કારણે જ ભાજપ મજબૂત છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં માહેશ્વરીએ આ જ ઉંદરોના દમ પર ચૂંટણી જીતી હતી અને હવે આગામી ચૂંટણીમાં અમે તેમને પાઠ ભણાવીશુ. કોંગ્રેસે પણ માહેશ્વરીના આ નિવેદનને અયોગ્ય ગણાવ્યુ છે અને તેની નિંદા કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા નિભાવવા અંગે પણ કરણી સેનાએ દીપિકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપી હતી.