હવે આ લોકો મોહલ્લા ક્લિનિક્સ અને સ્કૂલોને નિશાન બનાવશે પરંતુ તમારો આ પુત્ર ઢાલની જેમ ઉભો રહેશેઃ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વી કે સક્સેના પર મંગળવારે નિશાન સાધ્યુ.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વી કે સક્સેના પર મંગળવારે નિશાન સાધ્યુ અને તેમના પર આમ આદમી પાર્ટીની સરકારના કાર્યક્રમો અને યોજનાઓમાં અડચણ નાખવાનો આરોપ મુક્યો. અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને કહ્યુ કે સક્સેના 'જેમ-તેમ બોલીને' દિલ્લીના બે કરોડ લોકોના જનાદેશનુ અપમાન કરી રહ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે આગળ તેમની સરકારના મોહલ્લા ક્લિનિક્સ અને શાળાઓને નિશાન બનાવવામાં આવશે પરંતુ તમારો આ પુત્ર ઢાલની જેમ ઊભો રહેશે.
ઉપરાજ્યપાલ કાર્યાલયે એક નિવદેનમાં કહ્યુ કે ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી સાથે વાતચીતમાં ક્યારેય પણ તેમના માટે અપશબ્દનો ઉપયોગ કર્યો નથી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યુ કે, 'પ્રક્રિયાગત અયોગ્ય વ્યવહાર, ઇરાદાપૂર્વકની ભૂલો અને દિલ્લીના લોકોને પ્રભાવિત કરતા શાસનના સ્પષ્ટ કદાચાર બાબતે પણ ઉપરાજ્યપાલે પોતાના વિચારોને સૌથી સમ્માનજનક, યોગ્ય અને સંસદીય ભાષામાં લેખિત રુપે વ્યક્ત કર્યા છે.' દિલ્લીની યોગશાળા યોજનાને 31 ઓક્ટોબરથી આગળ વધારવાની ઉપરાજ્યપાલ દ્વારા મંજૂરી નહિ આપવાની અફવાઓ વચ્ચે તેમણે આ આરોપ લગાવ્યો હતો. યોજના અંતર્ગત નિ:શુલ્ક યોગના વર્ગો યોજવામાં આવતા હતા.
એક પ્રેસ કૉન્ફરન્સમાં કેજરીવાલે કહ્યુ કે તેમની સાથે ગેરવર્તન કરીને સક્સેના દિલ્લીના બે કરોડ લોકોના જનાદેશનુ અપમાન કરી રહ્યા છે. ઉપરાજ્યપાલ સચિવાલયના સૂત્રોએ જણાવ્યુ હતુ કે સક્સેના કાર્યાલય દ્વારા કાર્યક્રમ ચાલુ રાખવાની પરવાનગી માંગતી કોઈ ફાઇલ મળી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દિલ્લીના ઉપરાજ્યપાલ મને જેમ-તેમ બોલ્યા તેની મને કોઈ ફરિયાદ નથી. કેજરીવાલ મહત્વના નથી પરંતુ જ્યારે તે દિલ્લીના મુખ્યમંત્રી સાથે ગેરવર્તન કરે છે ત્યારે તે માત્ર મારી સાથે જ નહિ પરંતુ મને વોટ આપનારા બે કરોડ લોકો સાથે આવુ કરી રહ્યા છે. આ યોગ્ય નથી.'
તેમણે વધુમાં કહ્યુ કે, 'છેલ્લા કેટલાક મહિનાઓથી અમે જોયુ છે કે તેઓ દિલ્લીમાં વિવિધ યોજનાઓને અટકાવી રહ્યા છે. તેમણે 'દિલ્લી કી દિવાલી' અને 'રેડ લાઈટ ઑન ગાડી ઑફ' ઝુંબેશને મંજૂરી આપી ન હતી. હવે અમે સાંભળીએ છીએ કે તેમનુ આગામી લક્ષ્ય મોહલ્લા ક્લિનિક્સ અને શાળાઓ છે. તેઓ મફત દવાઓ અને પરીક્ષણો પૂરા પાડતા ટેન્ડરોને અટકાવીને મોહલ્લા ક્લિનિકનુ મૉડેલ બંધ કરશે. તેઓ સરકારી હૉસ્પિટલોમાં કૉન્ટ્રાક્ટ કામદારો અને સરકારી શાળાઓમાં અતિથિ શિક્ષકોને નિશાન બનાવશે.