કેજરીવાલે કર્યો ભાજપ પ્રમુખ ગડકરીના કૌભાંડનો ખુલાસો
ભાજપ પ્રમુખ નિતિન ગડકરી, ભાજપ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકાર દ્વારા આચરવામા આવેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતાં કેજરીવાલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સિંચાઇ મામલે ભાજપ અને કોંગ્રેસની મીલીભગત છે. બન્ને દ્વારા સહિયારો ભ્રષ્ટાચાર આચરવામા આવી રહ્યો છે. આ અંગે મહારાષ્ટ્રના આઇએસી કાર્યકર્તા અંજલી દમાનિયા ભાજપ પ્રમુખ નિતિન ગડકરીને મળ્યા હતા. જેમાં તેમણે આ ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરી હતી. જોકે, એ સમયે ગડકરીએ જણાવ્યું હતું કે તેમના પવાર સાથે સારા સંબંધો છે.
કેજરીવાલે કહ્યું કે, ગડકરીનો ઘણું મોટું બિઝનેસ એમ્પાયર છે અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોની જે જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું તે જમીન ગડકરીને આપી દેવામાં આવી હતી. 100 એકર જેટલી આ જમીન સરકાર દ્વારા ફાજલ જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ જમીન ખેડૂતોને પરત આપવામાં આવી નહીં અને એ 100 એકર જમીન ભાજપ પ્રમુખને આપી દીધી હતી. જેનો ઉપયોગ ગડકરીએ પોતાના બિઝનેસને વધારવા માટે કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગડકરીએ આ 100 એકર જમીનની માંગણી અજીત પવારને એક પત્ર લખ્યો હતો. ગડકરી દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ અજીત પવારે ખેડૂતોને જમીન પરત નહીં આપીને આ જમીન ગડકરીને આપી દીધી હતી. તેમજ જે ડેમની વાતો કરવામાં આવી રહી છે, તેનું પાણી ખેડૂતોને આપવાના બદલે બિઝેનસ ચાલવનારાઓને આપવામાં આવી રહ્યું છે. નિતિન ગડકરીના બિઝનેસને આગળ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર ડેમનું પાણી બિઝનેસ કરનારાઓને આપી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, નિતિન ગડકરી અને કોંગ્રેસ વચ્ચે મિલિભગત છે. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ખુલાસાઓ થાય છે ત્યારે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, સંસદ અને વિધાનસભા બંધ કરવામાં આવે છે અને ભારત બંધનું એલાન આપવામા આવે છે. કારણ કે, બન્ને વચ્ચે કરાર થયો છે કે, થોડુંક તમે અમારી માટે કરો થોડુંક અમે તમારી માટે કરીશું. અમે બંધના એલાન આપીશું સંસદ અને વિધાનસભા બંધ કરીશું એથી આગળ અમે નહીં વધીએ, તમે પણ અમને મદદ કરતાં રહેજો.
એક રાજકારણી અને બિઝનેસમેન અંગે જણાવતા તેમણે કહ્યું કે, નિતિન ગડકરી એક રાજકારણી નથી કારણ કે તેમને દેશ પ્રત્યે દેશના નાગરીક પ્રત્યે લગાવ નથી. તે ભાજપનો ઉપયોગ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે કરે છે. મને એ વાતનું દુઃખ છે કે ભાજપે પોતાના સંવિધાનમાં સંશોધન કરીને ગડકરીને વધું ત્રણ વર્ષ સુધી પ્રમુખ પદે રાખવાનો નિર્ણય કર્યો છે.