કેજરીવાલને નાયકના અનિલ કપૂર ગણાવતાં યુવાનો
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : આજે અણ્ણાનો અર્જુન કેજરીવાલ તેમની સાથે નથી તો શું થઈ ગયું? કાલ ઉઠીને અણ્ણાને જ તેની ઉપર ગર્વ થશે. અણ્ણાના આદર્શો વાંચવા અને માનવા માટે તો બહુ સારાં છે, પણ આજના જમાનામાં તે મુજબ ચાલવું શક્ય નથી, કારણ કે કાદવને સાફ કરવા કાદવમાં ઉતરવું જ પડે છે.
અરવિંદ કેજરીવાલ તો નાયક ફિલ્મના અનિલ કપૂર છે. જોઈ લેજો મિનિસ્ટર બનતાં જ તેઓ તમામ ભ્રષ્ટાચારીઓનો ખાત્મો બોલાવી દેશે. શરુઆત થશે દિલ્હીનાં શીલા દીક્ષિત સાથે. તેમની હાલત નાયકના અમરીશ પુરી જેવી જ થશે. ભ્રષ્ટાચારની મલ્લિકા બની ચુકેલાં શીલા દીક્ષિત વિચારે છે કે તેઓ જો ઇચ્છે કરી શકે છે, તો તેમના આ વિચાર ઉપર પાણી ફેરવશે અમારા હીરો અરવિંદ કેજરીવાલ.
આ બધું અમે નથી કહેતાં. આ કથન છે તે યુવાનોનું, જેઓ કેજરીવાલનાં આંદોલનમાં તેમનો સાથ આપી રહ્યાં છે અને તાજેતરમાં જ તેમના આંદોલન સાથે જોડાયાં છે. આઈઆઈએમના આ બધા વિદ્યાર્થીઓ પોતાનું ભણતર છોડી દિલ્હીનાં જંતર-મંતરે ધરણા કરવા પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓનું માનવું છે કે અણ્ણા હજારે સારા તો બહુ છે,પણ તેમનુ સારુપણું નરસાપણાને મારવામાં નિષ્ફળ નીવડ્યું છે. ચાણક્યાની રણનીતિ પણ એમ જ કહે છે કે શતરંજની બાજી તે જ જીતી શકે કે શહ-માતની રમત જાણતો હોય. તેથી યુવા શક્તિ કેજરીવાલ સાથે છે, તેઓ એક સિલેક્ટેડ પર્સન છે કે જેને અમે લોકો ઇલેક્ટેડ બનાવશું.
અંદાજો આવી ગયો હશે આપને કે યુવાનોની વિચારસરણી અરવિંદ કેજરીવાલ અંગે શું છે? કદાચ આ શક્તિ માટે અરવિંદ કેજરીવાલે અણ્ણા વગર જ સંઘર્ષની મશાલ પોતાના હાથોએ રાખી છે.
આપને જણાવી દઇએ કે વર્ષ 2001માં આવેલી ફિલ્મ નાયકમાં અનિલ કપૂરે એક એવું પાત્ર ભજવ્યુ હતું કે જેને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે છે અને તે પત્રકારમાંથી રાજકારણી બની જાય છે અને એક દિવસના કાર્યકાળમાં જ તે સીએમ સહિત ઘણાં ભ્રષ્ટાચારીઓની પોળ ખોલી નાંખે છે.
કેજરીવાલે વર્ષ 2013માં દિલ્હી વિધાનસભાની ચુંટણીઓના મેદાને ઉતરવાનો નિર્ણય કર્યો છે અને ઇશારો કર્યો છે કે તેઓ દિલ્હીની તમામ બેઠકોએ પોતાના ઉમેદવારો ઊભા રાખશે. દિલ્હીમાં વિજળી મોંઘી થતા તેની વિરુદ્ધ કેજરીવાલે રવિવારે જંતર-મંતરે ધરણા-પ્રદર્શન કર્યુ,જેમાં લગભગ 500 લોકોએ ભાગ લીધો. તેમાં યુવાનોની સંખ્યા અપેક્ષાકૃત વધુ હતી.