માછલી વેચીને અભ્યાસ કરનારી હનાને પૂર પીડિતો માટે દાન કર્યા દોઢ લાખ
માછલી વેચવા પર ટ્રોલ થનારી હનાન હામિદ પણ કેરળના પૂર પીડિતોની મદદ માટે આગળ આવી છે.
કેરળમાં આવેલા પૂરે સમગ્ર રાજ્યમાં વિનાશ વેર્યુ છે. અત્યાર સુધીમાં 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સેના, એનડીઆરએફ સહિત ઘણી સ્વતંત્ર એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કર્યુ છે. આખો દેશ કેરળ માટે પ્રાર્થના કરી રહ્યો છે અને દરેક જણ પોતાની રીતે મદદ કરી રહ્યા છે. માછલી વેચવા પર ટ્રોલ થનારી હનાન હામિદ પણ કેરળના પૂર પીડિતોની મદદ માટે આગળ આવી છે.
કેરળ પૂર પીડિતોની મદદ માટે આગળ આવી હનાન
કેરળની રહેવાસી અને બીએસસીની છાત્રા હનાનને કોલેજ બાદ માછલી વેચવા પર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. અત્યારે એ જ હનાન કેરળમાં પૂર પીડિતોની મદદ કરી રહી છે. હનાને પૂર પીડિતોની મદદ માટે દોઢ લાખ રૂપિયા દાન આપ્યા છે. હનાનનું કહેવુ છે કે જે તેણે લોકો પાસેથી મેળવ્યુ છે એ જ તેમને પાછુ આપી રહી છે. હનાને જણાવ્યુ કે આ પૈસા તેને તેના શુભચિંતકોએ આપ્યા છે.
મુખ્યમંત્રીને જઈને આપશે ચેક
‘ટ્રોલિંગ બાદ જ મારા અકાઉન્ટમાં પૈસા આવવા લાગ્યા હતા, જે દોઢ લાખ થઈ ગયા. જે લોકોએ મને મદદ કરી તે લોકો અત્યારે મુશ્કેલીમાં છે અને તેમને તેમના પૈસા પાછા આપવા માંગુ છુ.' હનાન લોકો પાસેથી મળેલી બધી રકમ કેરળના પૂર પીડિતોને આપશે. પોતાની પાસે માત્ર એટલા જ પૈસા રાખશે જે તેણે પોતે કમાયા છે. હનાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન રાહત ફાળામાં આ પૈસા આપવા ઈચ્છે છે પરંતુ કોઈ કારણોસર હજુ સુધી તે આ પૈસા ટ્રાન્સફર નથી કરી શકી. હનાન હવે જાતે જઈને આ ચેક મુખ્યમંત્રીને આપશે.
માછલી વેચવા પર હનાનને કરવામાં આવી હતી ટ્રોલ
બીએસસીની છાત્રા હનાને કોલેજ યુનિફોર્મમાં માછલી વેચવા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. 21 વર્ષીય હનાન એક પ્રાઈવેટ કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરી રહી છે. તે રોજ કોલેજ બાદ એર્નાકુલમ જઈને ત્યાં માછલી વેચતી હતી. એક સ્થાનિક વર્તમાનપત્રએ હનાનના સમાચાર છાપ્યા બાદ તે વાયરલ થઈ ગયા હતા. તેની પ્રેરણાદાયક કહાનીને ફિલ્મ સ્ટારથી લઈને નેતાઓએ પણ શેર કરી હતી. એક તરફ દરેક જણ હનાની લગનની પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં કેટલાકે હનાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
મુખ્યમંત્રીએ આપ્યો હતો તપાસનો આદેશ
હનાનની કહાની વાયરલ થયા બાદ તેને એક ફિલ્મ પણ ઓફર થઈ હતી. લોકોનું કહેવુ હતુ કે હનાને આ ફિલ્મના પ્રમોશન માટે આ ખોટી કહાની રચી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને હનાનને સરકારની દીકરી ગણાવી હતી અને તેને સુરક્ષા પ્રદાન કરવા માટે પોલિસને નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રાએ તે દરેક સામે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા હતા જેમણે હનાન સામે સોશિયલ મીડિયા પર અપમાનજનક વાતો લખી હતી.
આ પણ વાંચોઃ કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?