‘ખૂની પંજા’ વિવાદઃ મોદીએ આપ્યો ચૂંટણી પંચની નોટિસનો જવાબ
નવી દિલ્હી, 20 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી પંચે પાઠવેલી નોટિસનો જવાબ આપવામાં આવ્યો છે. જવાબમાં તેમણે કહ્યું છે કે, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી સંબંધિત રેલીમાં તેમણે કરેલી ખૂની પંજાની ટિપ્પણીમાં આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો નથી.
મોદીએ જણાવ્યું છે, ‘ મારું સ્પષ્ટ મંતવ્ય છે કે, મે આચારસંહિતાનો ભંગ કર્યો નથી.' મોદીએ વધુમાં કહ્યું છે કે, મને પોતાને જ એક ટીકાત્મક વિષય બનાવી દેવામાં આવ્યા છે અને મારા વિરુદ્ધ અશોભનિય ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. મે રાજકિય ટીકા-ટિપ્પણીને જાળવી રાખી છે અને તેમાં મે કોઇના પર પણ વ્યક્તિગત પ્રહાર કર્યા નથી.
ભાજપના વરિષ્ઠ નેતાઓનું ડેલિગેશન મુખ્ય ચૂંટણી કમિશનર વી એસ સંપથ અને અન્ય બે ચૂંટણી કમિશનરને ગઇ કાલે મળ્યા હતા અને મોદી દ્વારા આપવામાં આવેલા નોટિસના જવાબની કોપી અધિકૃત રીતે સોંપી હતી. આ ઉપરાંત ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા મોદી અને ભાજપ વિરુદ્ધ કરવામાં આવી રહેલા નિવેદનો થકી સતત આચારસંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
મોદીએ કહ્યું છે કે, મે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ એક પણ વિવાદિત કોમેન્ટ કરી નથી, મારા દ્વારા જે કંઇપણ કહેવામાં આવ્યું છે તે પબ્લિક ડોમિનમાં છે. મે જે કંઇપણ કહ્યું છે, તે ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેવું છે, ખૂની પંજા અને ઝાલીમ હાથ શબ્દનો ઉપયોગ હિન્દીમાં અર્થાલંકારિક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ એક રૂપક તરીકે કરવામાં આવ્યો હતો.