નિર્ભયાના અપરાધીઓ હવે છે ચિંતાતુર, કામ કરવાનું કર્યું બંધ
ગત શુક્રવારે નિર્ભયા ગેંગરેપ કેસ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા અપરાધીઓની ફાંસીની સજા યથાવત જાહેર કરી હતી.
ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસ મામલે પોતાનો અંતિમ નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇ કોર્ટે આપેલ ફાંસીની સજાને આ આરોપીઓ માટે યોગ્ય ઠરાવતાં ફાંસીની સજા યથાવત રાખી છે. તિહાડ જેલમાં કેદ અપરાધીઓને જ્યારે આ ખબર મળી તો તેઓ જાણે આઘાતમાં સરી પડ્યાં છે. કોઇએ કામ કરવાનું બંધ કરી દીધું છે, તો કોઇે પોતાનો અભ્યાસ છોડી દીધો છે. ફાંસીની સજા બાદ આ અપરાધીઓ તિહાડમાં જેલમાં કંઇક આવી જિંદગી વીતાવી રહ્યાં છે.
કામ કરવાનું છોડી દીધું છે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો અનુસાર અપરાધીઓની ફાંસીની સજા યથાવત હોવાની ખબર સાંભળીને તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યાં છે. ચારેય અપરાધીઓ કામમાં મન નથી પરોવી શકતા, તેમણે કામ કરવાનું બંધ કરી દીધું છે. સૂત્રો અનુસાર અક્ષય ઠાકુર, પવન કુમાર અને મુકેશ કુમાર જેલ નંબર 2માં બંધ છે, જ્યારે વિનય શર્મા જંલ નંબર 7માં કેદ છે.
વિનયે છોડી દીધો ગ્રેજ્યૂએશનનો અભ્યાસ
નિર્ભયાના ચાર અપરાધીઓમાંનો એક વિનય શર્મા ગ્રેજ્યૂએશનનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ ફાંસીની સજાના ખબર સાંભળ્યા બાદ તેણે અભ્યાસ છોડી દીધો છે. અક્ષય ઠાકુર નામના અપરાધીએ મિલમાં કામ કરવાનું છોડી દીધું છે. પવન કેન્ટિન સ્ટોરનું કામ કરતો હતો, જે તેણે છોડી દીધું છે અને મુકેશે પણ હાઉસકીપરની ફરજ બજાવવાનું છોડી દીધું છે. પહેલા તેઓ જેલના સ્ટાફ સાથે વાતો કરતા હતા, હવે તેમણે કોઇની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે.
જૂવેનાઇલ અપરાધીનો કોઇ ઉલ્લેખ નહીં
ઉલ્લેખનીય છે કે, આ ગેંગરેપનો પાંચમો અપરાધી એક સગીર યુવક હતો, જેને 3 વર્ષની રિમાન્ડ હોમની સજા થઇ હતી. તિહાડ જેલમાં કેદ આ ચાર અપરાધીઓ એ જૂવેનાઇલ સાથી વિશે ક્યારેય વાત નથી કરતા, તેઓ જાણે તે જૂવેનાઇલને ભૂલી ચૂક્યા છે. મીડિયામાં ખબરો આવી હતી કે, તે સગીર અપરાધીઓ દક્ષિણ ભારતના કોઇ હાઇવે ઢાબા પર રસૌઇયા તરીકે કામ કરે છે.
રાષ્ટ્રપતિ પાસે દયાની માંગણી
આ ચારેય અપરાધીઓના વકીલ એ.પી.સિંહે કહ્યું કે, તેઓ બને એટલી જલ્દી રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલશે. સુપ્રીમ કોર્ટમાંથી રિવ્યૂ પિટિશન રિજેક્ટ થયા બાદ જ આ અપીલ કરી શકાય. એ.પી.સિંહે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
શું છે આખો મામલો?
16 ડિસેમ્બર, 2012ની એ રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી અમાનુષી અને ક્રૂર ગેંગરેપનો કિસ્સો નોંધાયો હતો. એક બસમાં 6 લોકોએ મળીને 23 વર્ષની મેડિકલ વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો, તેના સાથીને ઢોર માર માર્યો હતો અને બંન્નેને અધમરેલી હાલતમાં ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા હતા. 6 અપરાધીઓમાંનો એક યુવક 17 વર્ષનો હતો અને અહેવાલો અનુસાર તેણે જ પીડિતા સાથે સૌથી ક્રૂર વ્યવહાર કર્યો હતો. પીડિતાના ગુપ્તાંગોમાં અપરાધીઓએ લોખંડની સળિયો નાંખી દીધો હતો અને ત્યાર બાદ તેને બસમાંથી બહાર ફેંકી દીધી હતી. આ ઘટના બાદ 29 ડિસેમ્બરના રોજ સિંગાપુરની હોસ્પિટલમાં સારાવાર દરમિયાન પીડિતાનું મૃત્યુ થયું હતું. આ કેસના ટ્રાયલ દરમિયાન 6માંથી એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. 17 વર્ષીય યુવકને જૂવેનાઇલ કોર્ટ દ્વારા 3 વર્ષ સુધી રિમાન્ડ હોમમાં રહેવાની સજા સંભળાવવામાં આવી હતી અને બાકીના ચાર આરોપીઓને ફાંસીની સજા થઇ હતી, જે સજા દિલ્હી હાઇ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી છે.
{promotion-urls}