એક સમયે હાર્ડવેરની દુકાન ચલાવતા હતા યેદુરપ્પા, હવે સંભાળશે કર્ણાટકની કમાન
કર્ણાટક વિધાનસભામાં જીત મેળવીને ભાજપે ફરી એકવાર દક્ષિણ ભારતમાં હાજરી દર્શાવી છે. કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવીને ભાજપે સાબિત કર્યું ચે કે 2014માં શરૂ થયેલી મોદી લહેર હવે સુનામી બની ચૂકી છે.
કર્ણાટક વિધાનસભામાં જીત મેળવીને ભાજપે ફરી એકવાર દક્ષિણ ભારતમાં હાજરી દર્શાવી છે. કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવીને ભાજપે સાબિત કર્યું ચે કે 2014માં શરૂ થયેલી મોદી લહેર હવે સુનામી બની ચૂકી છે. 2014માં જ્યારે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી હતી, ત્યારે ભાજપ અથવા NDAની સરકાર માત્ર દેશના 8 રાજ્યમાં હતી, હવે આ આંકડો 21 રાજ્ય સુધી પહોંચી ચૂક્યો છે. કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે બી એસ યેદુરપ્પાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કર્યા. યેદુરપ્પાએ પણ એડીચોટીનું જોર લગાવ્યુ, અને ફરી એકવાર ભાજપે કર્ણાટકમાં સત્તા મેળવવામાં સફળતા મેળવી.
2008માં ‘ઓપરેશન લોટસ’ના નાયક તો 2013માં ખલનાયક
યુદરપ્પાએ વર્ષ 2008માં વિધાનસભાની ચૂંટણીમાં ઓપરેશન લોટસ દ્વારા કર્ણાટકમાં સત્તા મેળવી હતી. 110 બેઠકો જીતીને યુદરપ્પા કિંગ બન્યા હતા, પરંતુ 2013માં તે ભાજપ માટે ખલનાયક સાબિત થયા. ભ્રષ્ટાચારના આરોપે યેદુરપ્પાની છબી બગાડી અને ચૂંટણીમાં ભાજપે કારમો પરાજય સહન કરવો પડ્યો. કોંગ્રેસને સત્તા પર આવવાની તક મળી.
ક્યારેક ક્લાર્ક તો ક્યારેક હાર્ડવેરની દુકાન
યેદુરપ્પાની રાજકીય કારકિર્દી હાલક ડોલક થતી રહી છે, તેમનું અંગત જીવન પણ આવું જ રહ્યું છે. 27 ફેબ્રુઆરી, 1943ના દિવસે કર્ણાટકના માંડ્યા જિલ્લાના બુકાનાકેરેમાં યેદુરપ્પાનો જન્મ થયો. સિદ્ધલિંગપ્પા અ પુત્તથયમ્માના ઘરે યેદુરપ્પાનો જન્મ થયો. 4 વર્ષની ઉંમરે જ યેદુરપ્પાએ મા ગુમાવી દીધી. અને બાદમાં પિતાએ જ તેમની જવાબદારી સંભાળી. ભણવાની સાથે સાથે તેમણે ખેતરોમાં પણ કામ કર્યું. બીએ પાસ કર્યા બાદ ચોખાની એક મિલમાં ક્લાર્કની નોકરી કરી. પરંતુ ત્યાં મન ન લાગતા નોકરી છોડીને હાર્ડવેરની દુકાન ખોલી. આ જ દરમિયાન તેઓ સંઘ સાથે જોડાયા. 1872માં શિકારીપુરા તાલુકાના જનસંઘના અધ્યક્ષ બન્યા અને રાજકારણમાં પ્રવેશ કર્યો. બસ પછી યેદુરપ્પાએ અટકવાનું નામ નથી લીધું. 1977માં જનતા પાર્ટીના સચિવ બન્યા બાદ તેમનું રાજકીય કદ પણ વધ્યું. 1975માં કટોકટી દરમિયાન તેઓ 45 દિવસ માટે જેલમાં પણ ગયા.
રાજકીય સફર
લિંગાયત સમુદાયમાંથી આવતા યેદુરપ્પા 1983માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. શિકારીપુરા વિધાનસભા બેઠક પરથી તેઓ પહેલીવાર જીત્યા અને ત્યારથી લઈને આજ સુધી અહીંથી સતત 7 વાર જીતી ચૂક્યા છે. 1988માં તેઓ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બન્યા અને આજે તેઓ ત્રીજી વખત પક્ષની કમાન સંભાળી રહ્યા છે. 1994ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. 2008માં ભાજપ યેદુરપ્પાના નેતૃત્વમાં જ ચૂંટણી લડ્યું હતું અને જીત મેળવી હતી.
ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ
2011માં બી એસ યેદુરપ્પા પર લાંચ લેવાના અને ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે. લોકાયુક્તે તેમના પર 40 કરોડની લાંચ લેવાનો અને ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ કર્યો હતો. ફક્ત યેદુરપ્પા જ નહીં તેમના પુત્ર અને જમાઈ પર પણ આ આરોપ લાગ્યા છે.
સીએમ પદ છોડવું પડ્યું
લોકાયુક્તે યેદુરપ્પાની કંપની JSW પર પણ લાંચ લેવાનો અને કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો. પોતાના રિપોર્ટમાં લોકાયુક્તે યેદુરપ્પાને ગેરકાયદે ખનન કેસમાં દોષી જણાવ્યા અને સરકારી ખજાનાને 16 હજાર કરોડ રૂપિયાથી વધુનુ નુક્સાન થયું હોવાનો ઉલ્લેખ કર્યો. આ આરોપો બાદ યેદુરપ્પાએ સીએમ પદ છોડવું પડ્યું. 2012માં તેમએ ધારાસભ્ય તરીકે અને ભાજપમાંથી રાજીનામુ આપી દીધું. આ આરોપોને પગલે યેદુરપ્પા 25 દિવસ જેલમાં પણ રહી ચૂક્યા છે. જો કે 2016માં યેદુરપ્પાને સીબીઆઈની વિશેષ અદાલત નિર્દોષ જાહેર કરી ચૂકી છે.