પદ્માવતી વિરોધ: દીપિકા અને ભણસાલીના માથે 5 કરોડનું ઇનામ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી અંગેનો વિવાદ વધતો જાય છે. ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભણસાલીનું ગળું કાપનારને ક્ષત્રિય સમાજ તરફથી 5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી અંગેનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ક્ષત્રિય સમાજના લોકોએ આરોપ મુક્યો છે કે આ ફિલ્મમાં રાણી પદ્માવતીનું ચિત્રણ ખોટી રીતે કરવામાં આવ્યું છે અને તેઓ સતત માંગણી કરી રહ્યાં છે કે આ ફિલ્મનની રિલીઝ અટકાવવામાં આવે. ક્ષત્રિય સમાજ દ્વારા આ ફિલ્મનો ઉગ્ર વિરોધ હજુ પણ ચાલુ જ છે. ગુરૂવારે ક્ષત્રિય સમાજને ઠાકુર અભિષેક સોમે વિવાદિત નિવેદન કરતાં જાહેરાત કરી હતી કે, ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભણસાલીનું ગળું કાપનારને ક્ષત્રિય સમાજ તરફથી 5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
'નરેન્દ્ર મોદી પણ નહીં બચાવી શકે'
અભિષેક સોમે કહ્યું કે, આ ફિલ્મ પરત ખેંચવામાં ન આવી તો એનું પરિણામ ખરાબ આવશે. દીપિકાને નરેન્દ્ર મોદી પણ નહીં બચાવી શકે. તેમની માંગ છે કે, આ ફિલ્મ પર રોક લગાવવામાં આવે. ઠાકોર અભિષેક સોમ ક્ષત્રિય સમાજના છે અને ઠાકુર ચૌબીસી સાથે જોડાયેલા છે. તેમનો દાવો છે કે, તેઓ સમાજવાદી પાર્ટી સાથે પણ જોડાયેલા છે. આ પહેલાં કરણી સેના તરફથી પણ દીપિકાને ધમકી આપવામાં આવી હતી કે, શૂર્પણખાની માફક તેનું નાક કાપી લેવામાં આવશે.
કરણી સેનાએ આપી નાક કાપવાની ધમકી
આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ સમયથી રાજપૂત કરણી સેનાએ ફિલ્મ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થનાર છે, પરંતુ તેઓ આ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે કટિબદ્ધ છે. ગુરૂવારે કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવી દ્વારા દીપિકા પાદુકોણને નાક કાપવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમને ભડકાવો નહીં, અમે શૂર્પણખાની જેમ એનું નાક કાપી નાંખીશું. સંજય લીલા ભણસાલી ઇતિહાસના તથ્યોને સમાપ્ત કરવા માટે જાણીતા છે. તેને આ ફિલ્મ બનાવવા માટે દુબઇથી ઘણા પૈસા મળ્યા છે. આ ફિલ્મ અમે દેશમાં રિલીઝ નહીં થવા દઇએ. જો આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થઇ તો રાજપૂત સંગઠન ભારત બંધનું આયોજન કરશે. રિલીઝના દિવસે અમે દેશભરમાં રેલીઓ કરીશું. આ ફિલ્મ વિરુદ્ધ લોહીથી લખવામાં આવેલ પત્ર દરેક ડીએમ અને થિયેટરના માલિકોને મોકલવામાં આવશે. રાજપૂત સમાજ કોઇ પણ પરિસ્થિતિમાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નહીં થવા દે.
દીપિકાનું નિવેદન, સંજય લીલી ભણસાલીનો વીડિયો
મંગળવારે દીપિકા પાદુકોણે નિવેદન આપ્યું હતું કે, તેમણે આ ફિલ્મ સેન્સર બોર્ડને બતાવી છે. સેન્સર બોર્ડે ફિલ્મ પાસ કરી છે અને આથી હવે આ ફિલ્મને રીલિઝ થતાં કોઇ નહીં રોકી શકે. અમે માત્ર સેન્સર બોર્ડને જવાબ આપવા માટે બંધાયેલા છે. આ ફિલ્મમાં જે બતાવવું જોઇએ, એ જ બતાવવામાં આવ્યું છે. એ પહેલાં સંજય લીલા ભણસાલીએ પણ એક વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે, આ ફિલ્મ રાણી પદ્માવતીની વીરતા અને સાહસને સલામ કરે છે. ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવતાં દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ વચ્ચે કોઇ એવો સિન કે ડ્રીમ સિક્વન્સ નથી, જેને કારણે કોઇની ભાવના દુભાય. આ ફિલ્મમાં રાજપૂતોની માન-મર્યાદાનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.
'પદ્માવતી' ફિલ્મ
સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં રાણી પદ્માવતી તરીકે દીપિકા પાદુકોણ, રાજા રતન રાવલ સિંહ તરીકે શાહિદ કપૂર અને અલાઉદ્દીન ખીલજી તરીકે રણવીર સિંહ જોવા મળનાર છે. રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ સમયે કરણી સેના દ્વારા જ ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો. સંજય લીલા ભણસાલી મારામારી પણ થઇ હતી અને શૂટિંગના ઉપકરણોની તોડફોડ પણ કરવામાં આવી હતી. ફિલ્મ 'પદ્માવતી'નું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સમગ્ર દેશમાં રાજપૂતો દ્વારા ફિલ્મનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. કેટલાયે રાજકીય નેતાઓનું પણ માનવું છે કે, જો ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ થઇ હોય તો ફિલ્મ રિલીઝ ન થવી જોઇએ.