લખીમપુર ખીરી હિંસાઃ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને કોર્ટમાંથી મોટી રાહત, નહિ નોંધાય કેસ
લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને સીજેએમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે.
લખીમપુર ખીરીઃ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને સીજેએમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે. વાસ્તવમાં, હિંસા દરમિયાન માર્યા ગયેલા પત્રકાર રમન કશ્યપના ભાઈએ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા સહિત 14 લોકો સામે કેસ લખવાની માંગને લઈને સીઆરપીસીની કલમ156(3) હેઠળ અરજી કરી હતી. સીજેએમ કોર્ટે આ મામલે તમામ દલીલો સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી છે.
લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયા હતા 8 લોકો
લખીમપુર ખીરીના તિકુનિયામાં ગઈ 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં ચાર ખેડૂતો અને પત્રકાર રમન કશ્યપ સહિત આઠ લોકોના મોત થઈ ગયા હતા. પત્રકાર રમન કશ્યપના ભાઈએ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા સહિત 14 લોકો સામે કેસ લખવાની માંગને લઈને અરજી કરી હતી. સીજેએમ ચિંતારામે તિકુનિયાથી રિપોર્ટ મંગાવીને આ અરજી પર સુનાવણી માટે 15 નવેમ્બરની તારીખ આપી હતી. જો કે, તિકુનિયા પોલિસને રિપોર્ટ ન આવવાના કારણે 15 નવેમ્બરે સુનાવણી થઈ શકી નહિ. કોર્ટે 25 નવેમ્બરની આગલી તારીખ નક્કી કરી. તિકુનિયા પોલિસે પોતાનો રિપોર્ટ 25 નવેમ્બરે સીજેએમ કોર્ટ પાસે મોકલ્યો જેના પર ચર્ચા માટે પવન કશ્યપના વકીલે સમય માંગ્યો હતો.
મોડી સાંજે કોર્ટે સંભળાવ્યો ચુકાદો
આના પર કોર્ટે સુનાવણી માટે 1 ડિસેમ્બરની તારીક નક્કી કરી. આ દિવસે અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ પરંતુ સીજેએમ ચિંતારામે ચુકાદો 6 ડિસેમ્બર માટે સુરક્ષિત રાખી લીધો હતો. જો કે 6 ડિસેમ્બરે પણ ચુકાદો સંભળાવી શકાયો નહિ અને સીજેએમ કોર્ટે આદેશ માટે 7 ડિસેમ્બરની તારીખ નક્કી કરી. સીજેએમ ચિંતારામે મંગળવારે મોડી સાંજે આ મામલે પત્રકાર રમન કશ્યપના ભાઈ પવન કશ્યપની અરજી ફગાવી દીધી.