ચારા કૌભાંડ: તેજસ્વી યાદવ સહિત 3ને કોર્ટના અનાદરની નોટિસ
ઘાસચારા કૌભાંડમાં અદાલત દ્વારા લાલુ પ્રસાદ યાદવ સહિત 16ને દોષી જાહેર કર્યા.બાદ અદાલતના આ નિર્ણય વિરુદ્ધ નિવેદનો કરવા નેતાઓને મોંઘા પડ્યા છે.આ અંગે વધુ વાંચો અહીં
ઘાસચારા કૌભાંડમાં અદાલત દ્વારા લાલુ પ્રસાદ યાદવ સહિત 16ને દોષી જાહેર કર્યા બાદ અદાલતના આ નિર્ણય વિરુદ્ધ નિવેદનો કરવા નેતાઓને મોંઘા પડ્યા છે. અદાલતના આ નિર્ણય વિરુદ્ધ ટિપ્પણી કરનાર ત્રણ નેતાઓને 'કારણ જણાવવાની' નોટિસ ફટકારવામાં આવી છે. અદાલતના અનાદર બદલ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ ત્રણ લોકોમાં રઘુવંશ પ્રસાદ સિંહ, તેજસ્વી પ્રસાદ યાદવ અને મનોજ ઝાનો સમાવેશ થાય છે. આ સૌને 23 જાન્યુઆરીનું સમન જાહેર કરવામાં આવ્યું છે અને પોતાના નિવેદન અંગે સફાઇ આપવાનું જણાવવામાં આવ્યું છે. અદાલતના આ નિર્ણય બાદ રઘુવંશ પ્રસાદે માફી માંગવાની વાત નકારી છે અને તેમણે કહ્યું છે કે, મેં કશું ખોટું નથી કહ્યું.
અદાલતના સમનબાદ રાજદ નેતા મનોજ ઝાએ કહ્યું કે, આ ખૂબ આશ્ચર્યજનક છે, કારણ કે અમારામાંથી કોઇએ આ પ્રકારનું કોઇ નિવેદન નથી આપ્યું. અમે અદાલતના નિર્ણય કે ન્યાયિક કાર્યવાહી પર કોઇ પ્રકારનું નિવેદન નથી આપ્યું. મેં અદાલતનો અનાદર નથી કર્યો. અદાલતના નિર્ણય બાદ રાજદ ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે, જેડીયૂ અને ભાજપ જે ઇચ્છે એવો નિર્ણય અદાલત પાસે લેવડાવે છે. સીબીઆઇ અને ઈડીના નિર્ણયને અદાલત દ્વારા લીક કરાવવામાં આવે છે. વર્ષ 2019 પહેલાં જ બિહાર સરકાર પડી ભાંગશે. રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે, કોર્ટનો નિર્ણય આઈટી, ઈડી અને સીબીઆઈના નિર્ણય પહેલા તેમના પ્રવક્તા એ અંગે ભવિષ્યવાણી કરે છે. અમે આને શું સમજીએ, આમાં સૌની મિલીભગત છે. સૌને અગાઉથી કઇ રીતે ખબર પડી જાય છે કે, સીબીઆઈ, ઈડી, આઈટી અને અદાલતનો શુ નિર્ણય આવશે. અમે લોકોને આ બધી જાણકારી આપીશું અને મોટી ચળવળ ઊભી કરીશું, વર્ષ 2018 સુધીમાં અમે બિહાર સરકારની વિદાય કરીશું.