લતાને ધીમું ઝેર આપી મારી નાંખવાની કોશિશ કરાઈ હતી
આ વાતનો ખુલાસો લતાજીની નજીક રહેલાં જાણીતા ડોગરી કવિયત્રી અને હિન્દી સાહિત્યકાર પદ્મા સચદેવે કર્યો છે. તેમણે આ બનાવનો ઉલ્લેખ તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ સંસ્મરાણત્મક પુસ્તક ‘ઐસા કહાં સે લાઊં'માં કર્યો છે.
પદ્મા સચદેવના આ પુસ્તકમાં પોતેલતા મંગેશકરે જણાવ્યું કે આ બનાવ 1962નો છે, જ્યારે તેમની ઉંમર 33 વરસની હતી. લતાજીએ જણાવ્યું કે એક દિવસ જ્યારે તેઓ સુઈ રહ્યા હતાં, ત્યારે તેમના પેટમાં વિચિત્ર દુઃખાવો થયો. પછી તેમને ત્રણ કે ચાર ઉલ્ટીઓ થઈ, જેનો રંગ લીલા જેવો હતો. તેમણે જણાવ્યું હતું કે દુઃખાવો એટલો અસહ્ય હતો કે તેઓ પાતાની જગ્યાએથી હાલી પણ નહોતા શકતાં. ઘરમાં હાજર લોકોએ તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યાં. ડૉક્ટરે તેમને ઘેનનુ ઇંજેક્શન આપ્યું અને તેઓ સુઈ ગયાં. લતાજીએ જણાવ્યું કે ત્રણ દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે તેઓ સંઘર્ષ કરતા રહ્યાં.
પદ્મા સચદેવને લતા મંગેશકરે જણાવ્યું કે આ બનાવ પછી તેઓ ઘણાં નબળા થઈ ગયા હતાં અને ત્રણ મહીના સુધી પથારીમાં જ રહ્યા હતાં. તે દરમિયાન તેઓ કઈં ખાઈ કે પી નહોતા શકતાં. તેથી તેમને માત્ર ઠંડો સૂપ પીવા માટે અપાતો હતો. તેમાં બરફના ટુકડાં પડ્યા રહેતા હતાં. પેટ સાફ નહોતુ થતું અને હંમેશા બળતરા થતી હતી. દસ દિવસ સુધી હાલત ખરાબ રહ્યા પછી ધીમે-ધીમે સુધારો થયો.
ડૉક્ટરે નિદાન આપ્યું કે તેમને ધીમું ઝેર આપવામાં આવી રહ્યુ હતું. આ બનાવ બાદ તેમના ઘરે રસોઈ બનાવતો રસોઇયો કોઈને કઈં કહ્યા વગર ભાગી ગયો હતો. પછી લતા મંગેશકરને ખબર પડી કે તે રસોઇયાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ હતું.
નોંધનીય છે કે લતાજીએ આ વાતનો ખુલાસો નસરન મુન્ની કબીર સાથે ઇંટરવ્યૂ દરમિયાન પણ કર્યો હતો. નસરીન મુન્ની કબીરે હિન્દી સિનેમા ઉપર ઘણાં પુસ્તકો લખ્યાં છે અને તેઓ લંડનના રહેવાસી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ બનાવ બાદ લતાજીના ઘેર રસોઈની જવાબદારી નાના બહેન ઉષા મંગેશકરે સંભાળી લીધી હતી.