દિલ્હીમાં ભાજપને મળી શકે છે સરકાર બનાવવાની તક
નવી દિલ્હી, 28 ઓક્ટોબર: દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને ફરી એકવાર હલચલ શરૂ થઇ ગઇ છે અને આ સાથે જ રાજકારણ ફરી એકવાર ગરમાવવા લાગ્યું છે. સૂત્રોના અનુસાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હીમાં સરકાર બનાવવાનું આમંત્રણ આપવા માટે સહમતિ આપી દિધી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિએ દિલ્હીના એલજી નજીબ જંગને કહ્યું કે તે ભાજપને આમંત્રણ આપીને સરકાર બનાવવાની સંભાવના શોધે.
સૂત્રોના અનુસાર આમ આદમી પાર્ટી દલીલ રજૂ કરી શકે છે કે ત્રણ સીટોની પેટાચૂંટણીમાં જીતી તો તે સૌથી મોટી પાર્ટી બની જશે. ત્યારે શું ભાજપને મોટી પાર્ટી હોવાના નાતે સરકાર બનાવવા માટે બોલવવામાં આવશે?
ટ્વિટર પર અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્ય છે કહ્યું છે કે ભાજપ પાસે નંબર નથી, ભાજપને ચૂંટણીમાં હારનો ડર છે એટલા માટે તે ચૂંટણીથી ભાગી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોઇ પાર્ટી પાસે બહુમતી નથી પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિની ભલામણ વિશે જણાવશે. એલજીએ રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં કહ્યું હતું કે સૌથી મોટી પાર્ટી એટલે કે ભાજપને સરકાર બનાવવાની તક મળવી જોઇએ.
દિલ્હીમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. રાષ્ટ્રપતિ શાસનની અવધિ 16 ફેબ્રુઆરી 2015 સુધી છે. આનાથી આગળ રાષ્ટ્રપતિ શાસન વધારવા માટે સંસદના બંને સદનોમાંથી કેન્દ્ર સરકારે મંજૂરી લેવી પડશે. પરંતુ રાજ્યસભાના હાલના સમીકરણમાં ભાજપ કોંગ્રેસના સહયોગ વિના આ પ્રસ્તાવને આગળ વધારી શકે નહી.
તાજેતરમાં 70 સીટોવાળી દિલ્હી વિધાનસભામાં 67 ધારાસભ્ય છે કારણ કે ભાજપના 3 એમએલએ સાંસદ બની ગયા છે. 67 ધારાસભ્યોમાં ભાજપના સૌથી વધુ 29. વિનોદ કુમાર બિન્ની અલગ થયા બાદ આપ પાસે 27, કોંગ્રેસ પાસે 8 અને 3 અપક્ષ ધારાસભ્ય છે.
આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં સરકાર બનાવવાના મુદ્દે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીની તે અરજી પર સુનાવણી થશે જેમાં માંગ કરવામાં આવી છે કે દિલ્હીમાં વિધાનસભા ભંગ કરી દેવી જોઇએ.
તમને જણાવી દઇએ કે ચૂંટણી કમિશને 25 નવેમ્બરના રોજ દિલ્હીની ત્રણ સીટો- કૃષ્ણનગર, તુગલકાબાદ અને મહરૌલી પર પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. આ ત્રણેય સીટો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીતી હતી. ત્રણેય સીટો પર જીતેલા ધારાસભ્ય લોકસભા ચૂંટણી જીત્યા બાદ સાંસદ બની ચૂક્યાં છે.
અત્યારે દિલ્હીમાં ભાજપ પાસે અકાળી દળને એક સીટ મિલાવીને 29 સીટોની બહુમતી છે. આપ પાસે 27 સીટો છે. કોંગ્રેસ પાસે 8 સીટો છે. 3 અપક્ષ ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીના નેતા આશીષ ખેતાને ભાજપ પર દિલ્હીમાં સરકાર બનાવવા માટે કાવતરું ઘડ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના મુકેશ વર્માએ કહ્યું છે કે દિલ્હીમાં વિધાનસભા ભંગ થવી જોઇએ અને ફરીથી ચૂંટણી યોજાવવી જોઇએ. અપક્ષ ધારાસભ્ય રામબીર શૌકીનનું કહેવું છે કે ભાજપ દિલ્હીમાં સૌથી મોટી પાર્ટી છે અને દિલ્હીમાં ભાજપને સરકાર બનાવવાની તક મળવી જોઇએ.