અમિત શાહનો દાવો, સપા-બસપા-કોંગ્રેસ સાથે આવવાથી તેમની સીટો વધશે
રવિવારે મુગલસરાય જંક્શનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન કરવાના પ્રસંગે આયોજિત રેલીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિપક્ષને 2019 માં ઉત્તરપ્રદેશ જીતવાનો ખુલ્લો પડકાર આપી દીધો.
2019 ની લોકસભા ચૂંટણી અંગે દેશના બાકી રાજ્યોની અપેક્ષાએ યુપીનો રાજકીય પારો સૌથી વધુ ચડેલો છે. ભાજપનો વિજયરથ રોકવા માટે યુપીમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડી જ્યાં એકસાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવી ચૂક્યા છે તો બીજી તરફ ભાજપના દિગ્ગજોએ પણ વિપક્ષની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. રવિવારે મુગલસરાય જંક્શનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન કરવાના પ્રસંગે આયોજિત રેલીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિપક્ષને 2019 માં ઉત્તરપ્રદેશ જીતવાનો ખુલ્લો પડકાર આપી દીધો.
‘યુપીમાં અમારી સીટો 73 માંથી 74 થશે 72 નહિ'
રેલીમાં આવેલા કાર્યકર્તાઓને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ, ‘આજે સમગ્ર વિપક્ષ દ્વારા દેશભરમાં એક ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે સપા અને બસપા એક થશે, ફોઈ-ભત્રીજો એક થશે તો ઉત્તરપ્રદેશમાં શું થશે? શું થશે, કહો તો જરા, જો ફોઈ, ભત્રીજો અને રાહુલજી હાથ મિલાવશે તો યુપીમાં અમારી લોકસભા સીટોની સંખ્યા 73 માંથી ઘટીને 72 નહિ થાય પરંતુ 74 થઈ જશે. હું તેમને પડકાર ફેંકુ છુ કે આજે અહીં ભાજપનો ભગવો ઝંડો લહેરાય છે, આગળ પણ આ જ રીતે લહેરાશે.'
પૂર્વાંચલ માટે સપા-બસપાને ઘેર્યુ
મુગલસરાયમાં પૂર્વાંચલના મતદારોને રીઝવતા અમિત શાહે કહ્યુ કે, ‘હું આજથી પહેલા હંમેશા કહેતો આવ્યો છુ કે જ્યાં સુધી ઉત્તરપ્રદેશ વિકાસ નહિ કરે, દેશ પણ વિકાસ નહિ કરે. સપા અને બસપાએ છેલ્લા 15 વર્ષ સુધી યુપીમાં સરકાર ચલાવી, પરંતુ પ્રદેશમાં વિકાસ માટે કંઈ કર્યુ નહિ. આજે જ્યારે ભાજપ યુપીનો વિકાસ કરવામાં લાગી છે તો બંને પક્ષોને તેની ઈર્ષ્યા આવે છે. ભાજપની સરકારે ખેડૂતોના હિતમાં પાકના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો.'
‘લોકસભાની ચૂંટણી પૂર્ણ બહુમતથી જીતશે ભાજપ'
યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલની હાજરીમાં અમિત શાહે કહ્યુ કે દિલ્હીમાં સત્તાનો રસ્તો યુપીમાં થઈને જાય છે અને ભાજપ આવતા વર્ષે લોકસભા ચૂંટણી પૂર્ણ બહુમત સાથે જીતશે. અમિત શાહે રાજ્યસભામાં લાવવામાં આવેલા ઓબીસી વિધેયક અંગે કોંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યુ કે કોંગ્રેસ આ બિલ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે જેથી દેશની જનતા જાણી શકે કે પછાત સમાજના લોકો માટે કોંગ્રેસના મનમાં શું છે.