લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની કેટલી છે સંપત્તિ?
સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીએ જે ચૂંટણી સોગંદનામુ દાખલ કર્યુ છે તે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સોનિયાની સંપત્તિ ઘટી ગઈ છે. જ્યારે સ્મૃતિ ઈરાનીની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે.
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગુરુવારે રાયબરેલીથી આવેદનપત્ર ભર્યુ. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ પણ અમેઠી લોકસભા સીટથી આવેદન ભર્યુ. આ દરમિયાન બંને નેતાઓએ જે ચૂંટણી સોગંદનામુ દાખલ કર્યુ છે તે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સોનિયાની સંપત્તિ ઘટી ગઈ છે. જ્યારે સ્મૃતિ ઈરાનીની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે.
સોનિયા ગાંધીની આવકમાં ઘટાડો
ન્યૂઝ 18ના સમાચાર મુજબ ચૂંટણી સોગંદનામામાં સોનિયા ગાંધીએ 2013-14ની તુલનામાં 2017-18 દરમિયાન પોતાની આવકમાં લગભગ 45 ટકાના ઘટાડાની ઘોષણા કરી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની આવકમાં આ દરમિયાન લગભગ 80 ટકાની વૃદ્ધિની વાત કહી છે. એ પણ ધ્યાન રાખવાની વાત છે કે ચૂંટણી સોગંદનામામાં સ્મૃતિ ઈરાનીએ 31 માર્ચ, 2018 સુધી પોતાની આવક અને સંપત્તિની ઘોષણા કરી છે જ્યારે સોનિયા ગાંધીએ 31 માર્ચ, 2019 સુધીની ઘોષણા કરી છે.
સોનિયા ગાંધી પાસે છે આટલા કરોડની કુલ સંપત્તિ
યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટથી આવેદન ભર્યુ. આ દરમિયાન તેમના તરફથી અપાયેલ સોગંદનામા અનુસાર તેમની કુલ સંપત્તિ 11.82 કરોડ રૂપિયા છે. સોનિયા ગાંધી પાસે રોકડમાં 60 હજાર રૂપિયા છે અને 16.59 લાખની બેંક ડિપોઝીટ છે. સોગંદનામા મુજબ સોનિયા ગાંધીની ચલ સંપત્તિ 4.29 કરોડ છે. આ ઉપરાંત તેમણે પોતાના પુત્ર અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધે પાંચ લાખ રૂપિયાનું દેવુ આપી રાખ્યુ છે. આ પહેલા 2014ની સામાન્ય ચૂંટણી દરમિયાન તેમના તરફથી આપેલા સોગંદનામામાં તેમણે પોતાની સંપત્તિ 9.28 કરોડ રૂપિયા ઘોષિત કરી હતી. તેમની સામે એક ગુનાહિત કેસ નોંધાયેલો છે જે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તરફથી દાખલ કરાયેલ છે.
સ્મૃતિ ઈરાની પાસે છે 4.71 કરોડની સંપત્તિ
કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ પોતાના ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિ 4.71 કરોડ રૂપિયા ઘોષિત કરી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આપેલા સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિમાં લગભગ 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2014માં સ્મૃતિ ઈરાનીએ પોતાની સંપત્તિ 4.14 કરોડ રૂપિયા ઘોષિત કરી હતી. સોગંદનામા અનુસાર તેમની પાસે 1.75 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ કે જે 2014માં 1.36 કરોડ રૂપિયા હતી. 2018માં તેમની અચલ સંપત્તિ 2.95 કરોડ ઘોષિત કરવામાં આવી છે, 2014માં તે 2.78 કરોડ હતી. જો કે ભાજપ નેતાએ ગઈ ચૂંટણીમાં 70,000 રૂપિયાના દેવાની ઘોષણા કરી હતી પરંતુ હાલના સોગંદનામામાં તેમણે દેવાની કોઈ માહિતી આપી નથી.
ગ્રેજ્યુએટ નથી સ્મૃતિ ઈરાની, સોગંદનામામાં આપી માહિતી
ચૂંટણી સોગંદનામામાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ કે તેમણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે જ્યારે સ્નાતકનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી. ભાજપ નેતાએ આવેદન દરમિયાન આપેલા સોગંદનામામાં પોતાની શૈક્ષણિક માહિતી આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે તેમણે 1991માં 10માંનો અભ્યાસ પૂરો કર્યો, 12માંનો અભ્યાસ 1993માં પૂરો કર્યો. સાથે તેમણે એ પણ માહિતી આપી છે કે બીકોમ માટે તેમણે પોતાનું એડમિશન કરાવ્યુ હતુ પરંતુ તે તેઓ પૂરુ કરી શક્યા નહિ. બીકોમ માટે તેમણે 1994માં દિલ્લી યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓપન લર્નિંગમાં એડમિશન લીધુ હતુ પરંતુ તે પહેલા વર્ષ બાદ જ તેને પૂરુ કરી શક્યા નહિ અને સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા વિના જ છોડી દીધો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસના 'યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો? જાણો