Opinion Poll: અત્યારે ચૂંટણી થાય તો NDAને 301, UPAને 127 બેઠકો મળે
વર્ષ 2019માં થનાર લોકસભા ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ દ્વારા સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર, મોદી સરકારના કામકાજથી 51 ટકા લોકો સંતુષ્ટ છે. આ અંગે વધુ વાંચો અહીં
વર્ષ 2019માં થનાર લોકસભા ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ દ્વારા સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એ જાણવાનો પ્રયત્ન થયો હતો કે, દેશમાં જો હાલ ચૂંટણી થાય તો કયા દળને કેટલી બેઠકો મળે? 7થી 20 જાન્યુઆરી દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 19 રાજ્યોની 175 લોકસભા બેઠકો પર 14,336 મતદારોનું વલણ જાણવામાં આવ્યું. આ સર્વે અનુસાર, મોદી સરકારના કામકાજથી 51 ટકા લોકો સંતુષ્ટ છે, જ્યારે 40 લોકો અસંતુષ્ટ છે. 9 ટકા લોકોએ આ અંગે કોઇ ટિપ્પણી નથી કરી. મે 2017માં કરવામાં આવેલ સર્વેમાં 64 ટકા લોકોને મોદી સરકારથી સંતોષ હતો અને 27 ટકા લોકો અસંતુષ્ટ હતા. સર્વે અનુસાર, પૂર્વ ભારતની 142 બેઠકોમાં એનડીએ 68-76, યૂપીએ 15-21 અને અન્યને 48-56 બેઠકો મળી શકે છે. વોટ શેર જોઇએ તો, એનડીએને 43 ટકા, યૂપીએને 21 ટકા અને અન્યને 36 ટકા મત મળી શકે છે. પૂર્વ ભારતમાં ભાજપની સ્થિતિ વર્ષ 2017ની સરખામણી મજબૂત થઇ છે.
દ.ભારતની 132 બેઠકો પર યૂપીએને 63 અને એનડીએને 34 બેઠકો મળી શકે છે અને 35 બેઠકો અન્યના ફાળે જશે. 2017માં થયેલ સર્વેમાં અહીં યૂપીએને 52 અને એનડીએને 39 બેઠકો મળી હતી. 132 બેઠકો પર યૂપીએને 39 ટકા, એનડીએને 25 અને અન્યને 36 ટકા વોટ શેર મળ્યો હતો. પૂર્વ અને દક્ષિણ ભારત મળીને સર્વે અનુસાર, 274માંથી એનડીએને 106, યૂપીએને 81 અને અન્યને 87 બેઠકો મળી શકે છે. ઉત્તર ભારતની 151 બેઠકોમાંથી 111 પર એનડીએ આગળ છે. અહીં એનડીએને 111, યૂપીએને 13 અને અન્યને 27 બેઠકો મળી શકે છે. મધ્ય પશ્ચિમ ભારતની કુલ 118 બેઠકોમાંથી એનડીએને 84, યૂપીએને 33 અને અન્યને 1 બેઠક મળી શકે છે. સર્વેના આખરી આંકડાઓ અનુસાર, અત્યારે ચૂંટણી થાય તો એનડીએને 301, યૂપીએને 127 અને અન્યને 115 બેઠકો મળી શકે છે.