બજેટ સત્ર પહેલાં સુમિત્રા મહાજને બોલાવી સર્વદળીય બેઠક
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બજેટ સત્ર પહેલાં તમામ રાજકીય દળોની સોમવારે બેઠક બોલાવી છે. જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ત્રણ તલાક બિલ સહિત તમામ મુદ્દાઓ પર તકરાર થતી ટાળી શકાય.
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બજેટ સત્ર પહેલાં તમામ રાજકીય દળોની સોમવારે બેઠક બોલાવી છે. આ બેઠક બજેટ સત્ર પહેલા એટલા માટે બોલાવવામાં આવી છે કે જેથી સરકાર અને વિપક્ષ વચ્ચે ત્રણ તલાક બિલ સહિત તમામ મુદ્દાઓ પર તકરાર થતી ટાળી શકાય. માનવામાં આવી રહ્યું છે કે, બજેટ સત્રમાં વિપક્ષ ત્રણ તલાક બિલ સહિત સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ પર સરકારને ઘેરી શકે છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વિપક્ષી દળના નેતાઓની બેઠક પણ બોલાવી છે, જેમાં મહત્વના મુદ્દાઓ પર વાત થશે.
રાષ્ટ્રપતિ કોવિંદ કરશે સંબોધન
ઉલ્લેખનીય છે કે, સસંદ સત્રનો પહેલો દિવસ 29 જાન્યુઆરીના રોજ શરૂ થશે, જેમાં સરકાર ઇકોનોમિક સર્વે રજૂ કરશે, જે પછી 1 ફેબ્રૂઆરીના રોજ નાણાં મંત્રી અરુણ જેટલી સંસદમાં બજેટ રજૂ કરશે. બજેટ સત્ર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના સંસદના બંને સદનોના ભેગા સંબોધન દ્વારા શરૂ થશે. સંસદમાં પોતાના પહેલા ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ સરકારની વિકાસની યોજનાઓ સહિત લોકોને મજબૂત કરતી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં મુખ્ય રૂપે દલિતો અને પછાત વર્ગના લોકોનો ઉલ્લેખ કરશે.
લોકસભા ચૂંટણી 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારનું આ છેલ્લુ પૂર્ણ બજેટ હશે, એવામાં લોકસભાની ચૂંટણી પહેલા દરેકની નજર આ બજેટ પર છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બજેટ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બેરોજગારી, ખેડૂત, એમએસપી, ગ્રામીણ ક્ષેત્રને વિશેષ સ્થાન મળશે. આ બજેટ સાથે સરકાર એવો સંદેશ આપવાનોપ્રયત્ન કરશે કે, તેમની સરકાર સતત ગરીબો અને ખેડૂતો માટે કામ કરી રહી છે અને આવનારા સમયમાં સરકારની પ્રાથમિકતા આ જ વર્ગ રહેશે. બજેટ સત્રની શરૂઆતમાં બંને સદનોમાં એકસાથે સંબોધન કરવામાં આવશે અને એ પછી 9 ફેબ્રૂઆરીના રોજ સત્રનું પહેલું સેશન સમાપ્ત થશે. એ પછી ફરી એકવાર 5 માર્ચથી 16 એપ્રિલ સુધી સત્ર ચાલશે.