સીએમ યોગીના PS પર લાંચનો આરોપ લગાવનારે ફેરવી તોળ્યુ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રમુખ સચિવ એસપી ગોયલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ અભિષેક ગુપ્તા નામના શખ્સે પોતાના નિવેદનથી ફેરવી તોળ્યુ છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રમુખ સચિવ એસપી ગોયલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ અભિષેક ગુપ્તા નામના શખ્સે પોતાના નિવેદનથી ફેરવી તોળ્યુ છે. અભિષેકે પ્રમુખ સચિવ એસપી ગોયલ પર 25 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો અને રાજ્યપાલ રામ નાઈકને પત્ર લખ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા.
માફીનામુ આપવામાં આવ્યુ
સીએમ યોગીના પ્રમુખ સચિવ પર લાંચ માંગવાનો આરોપ લગાવનાર અભિષેક ગુપ્તા મોડી સાંજે પોતાના નિવેદનમાંથી ફરી ગયો. લેખિત માફીનામા પર હસ્તાક્ષર કરીને પ્રમુખ સચિવ પર લગાવેલા પોતાના આરોપ પાછા લઈ લીધા. અભિષેકના નાના ઓમ પ્રકાશ ગુપ્તા તરફથી આ માફીનામુ આપવામાં આવ્યુ છે.
અભિષેકના નાનાએ કહ્યુ, ‘માનસિક તણાવમાં હતો’
માફીનામામાં કહેવામાં આવ્યુ છે કે અભિષેકની માનસિક સ્થિતિ સારી નથી. અભિષેકના નાના ઓમ પ્રકાશ ગુપ્તાએ કહ્યુ કે મારા નાતીએ એક કરોડ રૂપિયાની લોન લીધી છે જેની દર મહિને એક લાખ રૂપિયા ઈએમઆઈ આવે છે. હરદોઈ રોડ સ્થિત પેટ્રોલ પંપની સામેની જમીન એક્સચેન્જ કરવાની પત્રાવલિ શાસન તરફથી રદ કરવાને કારણે તેનું માનસિક સંતુલન બગડી ગયુ હતુ અને આ હડબડાટીમાં અભિષેકે પ્રમુખ સચિવ પર 25 લાખ રૂપિયા માંગવાનો ખોટો આરોપ લગાવી દીધો હતો. મોડી સાંજે અભિષેકે પોતાનો આરોપ પાછો લઈ લીધો.
રાજ્યપાલ રામ નાઈકને પહેલા લખ્યો હતો પત્ર
આ પહેલા શુક્રવારે રાજ્યપાલ રામ નાઈકને લખેલ પત્ર ધ્યાન પર લેતા સીએમ યોગીએ શુક્રવારે તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ પ્રમુખ સચિવ એસપી ગોયલ પાસેથી આ મામલે પૂરી જાણકારી માંગી હતી. બીજી તરફ ભાજપે અભિષેક ગુપ્તા સામે કેસ દાખલ કરાવ્યો હતો અને કહ્યુ કે આ શખ્સ પક્ષના સંગઠન મંત્રી સુનીલ બંસલ અને અન્ય પદાધિકારીઓના નામનો ઉપયોગ કરીને અનુચિત કાર્ય કરવાનું દબાણ કરી રહ્યો હતો. ત્યારબાદ પોલિસે પણ અભિષેકની આ મામલે પૂછપરછ કરી હતી.
25 લાખની લાંચનો લગાવ્યો હતો આરોપ
તમને જણાવી દઈએ કે અભિષેક ગુપ્તા નામના શખ્સે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રમુખ સચિવ એસપી ગોયલ પર પેટ્રોલ પંપની જમીનના બદલે લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. લખનઉના ઈન્દિરાનગરના રહેવાસી ગુપ્તાએ રાજ્યપાલને 18 એપ્રિલે પત્ર લખીને આની જાણકારી આપી હતી. આ સમગ્ર ઘટના બાદ રાજકારણ ગરમાયુ હતુ.