Mumbai Covid Hospital Fire: આગ લાગવાથી 13 કોવિડ દર્દીઓના મોત, CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ
મુંબઈની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 13 લોકોના મોત થયા. સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રથી એક દુઃખદ સમાચાર છે. અહીં પાલઘર જિલ્લાના વિરારમાં સ્થિત વિજય વલ્લભ હોસ્પિટલમાં મોડી રાતે ત્રણ વાગે આગ લાગી ગઈ જેનાથી 13 કોવિડ દર્દીઓના મોત થઈ ગયા છે. આ વિશે માહિતી આપીને ડૉ. દિલીપ શાહ કે જેઓ વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલના અધિકારી છે તેમણે કહ્યુ કે રાતે 3 વાગે એસીમાં અચાનક આગ નીચે પડી જેના કારણે આઈસીયુમાં આગ લાગી અને તેના કારણે 13 દર્દીઓના મોત થઈ ગયા છે. બાકી ગંભીર દર્દીઓ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યા છે.
મીડિયા રિપોર્ટસ મુજબ જે સમયે હોસ્પિટલમાં આગ લાગી તે સમયે આઈસીયુ વૉર્ડમાં 17 લોકો હાજર હતા. આગ લાગવાની ઘટના પાછળ પ્રારંભિક કારણ શૉર્ટ સર્કિટ હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેએ વિરાર હોસ્પિટલ આગ દૂર્ઘટના પર કહ્યુ કે, 'આ એક મોટી દૂર્ઘટના છે. જવાબદાર લોકોને છોડવામાં નહિ આવે. આ દૂર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યા છે તેવા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવશે.'
કોરોના વેક્સીનના પહેલા ડોઝ પછી શું થઈ શકે અને શું નહિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુંબઈ કોવિડ હોસ્પિટલ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે વિરારમાં કોવિડ-19 હોસ્પિટલમાં લાગેલી આગ અત્યંત દુઃખદ છે. ઘટનામાં જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદનાઓ. ઘાયલો ત્વરિત સાજા થાય તેવી પ્રાર્થના. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરીને જણાવ્યુ કે મહારાષ્ટ્રના પાલઘરની હોસ્પિટલમાં આગ લાગવાથી થયેલ મૃત્યુના કારણે દુઃખી છુ. મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ઘાયલોની જલ્દી રિકવરી માટે પ્રાર્થના. તમને જણાવી દઈએ કે બુધવારે નાસિકના જાકિર હુસેન હોસ્પિટલમાં ઑક્સિજન સિલિન્ડર લીક થવાથી 22 લોકોના મોત થઈ ગયા હતા.