શિવસેનાની ભાજપ સામે શરત, 152 સીટો અને સીએમ પદ આપો
શિવસેના આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાંથી 152 સીટ પર ચૂંટણી લડવા ઈચ્છે છે જ્યારે ભાજપ સહિત અન્ય સહયોગીઓ માટે 136 સીટો છોડવાની વાત કરી રહી છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે હાલમાં જ માતોશ્રી જઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. ભાજપના 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન અંતર્ગત થયેલી આ મુલાકાત પહેલા અને બાદમાં શિવસેનાએ એક જ રાગ આલાપ્યો - અમે 2019 માં એકલા હાથે જ ચૂંટણી લડીશુ. જો કે શિવસેનાનું આ સ્ટેન્ડ કોઈ નવુ નથી. તે પહેલા પણ આવો દાવો કરતી રહી છે પરંતુ અંદરના સમાચાર કંઈક અલગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ અમિત શાહ સાથે વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એક પ્રસ્તાવ મૂક્યો. તેમણે ભાજપ સામે ગઠબંધન માટે 'મોટા ભાઈ' ની ભૂમિકાવાળી ફોર્મ્યુલા પણ રજૂ કરી દીધી છે. ફોર્મ્યુલા મુજબ શિવસેના આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાંથી 152 સીટ પર ચૂંટણી લડવા ઈચ્છે છે જ્યારે ભાજપ સહિત અન્ય સહયોગીઓ માટે 136 સીટો છોડવાની વાત કરી રહી છે. શિવસેનાએ સીએમ પદ પણ પોતાની પાસે રાખવાની વાત કહી છે. જ્યાં સુધી લોકસભા ચૂંટણીની વાત છે તો શિવસેનાને 2014 ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા માનવામાં કોઈ વાંધો નથી. 2019 નું રણ ભાજપ માટે ખૂબ જ મહત્વનું છે પરંતુ શિવસેના માટે આ અસ્તિત્વની લડાઈ છે કારણકે 2019 માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પણ થવાની છે.
ઉદ્ધવ ઠાકરે માટે શું હોઈ શકે છે ભાજપની ઓફર
સૂત્રો મુજબ માતોશ્રીમાં મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ જ્યારે અમિત શાહ સામે 15 સીટોનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે જવાબમાં ભાજપ અધ્યક્ષે કહ્યુ કે તે ફરીથી તેમને મળવા આવશે અને સીટ વહેંચણી ફોર્મ્યુલા પર ચર્ચા કરશે. આ તરફ ભાજપમાં ચર્ચા ગરમ છે કે જો સમજૂતી થાય તો શિવસેનાને 130 થી વધુ સીટો ના અપાવી જોઈએ. આ સાથે સૂત્ર એ પણ દાવો કરી રહ્યા છે કે અમિત શાહે મહારાષ્ટ્રના મોટા નેતાઓને 2019 માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા લડવા માટે તૈયાર રહેવા જણાવ્યુ છે. ભાજપના રણનીતિકાર એ માનીને ચાલી રહ્યા છે કે શિવસેના સાથે સીટ વહેંચણી પર સમજૂતી થવી અશક્ય છે. શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ત્યારે જ સમજૂતી કરશે જ્યારે તેમને 152 વિધાનસભા સીટો આપવામાં આવશે.
સીટ વહેંચણીની હકીકત ખરેખર છે શું?
2014 માં 26 લોકસભા સીટો પર ભાજપ અને શિવસેના 22 સીટો પર ચૂંટણી લડી હતી. ભાજપ 26 લોકસભા સીટોમાંથી 23 પર જીત મેળવવામાં સફળ રહી હતી. જ્યારે શિવસેના 22 માંથી 18 સીટો પર જીતી હતી. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી આવી તો બંને પક્ષો વચ્ચે સીટોની વહેંચણી ન થઈ શકી અને ભાજપ-શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. શિવસેનાએ 2014 લોકસભા ચૂંટણીમાં 282 સીટો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા પરંતુ તેને માત્ર 62 સીટો પર જીત મળી હતી. બીજી તરફ ભાજપે 260 સીટો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને તે 122 સીટો જીતવામાં સફળ થઈ હતી. 2014 ના આ પરિણામોના કારણે જ શિવસેના બેકફૂટ પર આવી ગઈ અને ભાજપ મહારાષ્ટ્રમાં મોટા ભાઈ બનીને વર્તવા લાગી. જો કે 1990 નો એક જમાનો હતો જ્યારે બાલાસાહેબ ઠાકરેનો જાદૂ માથે ચડીને બોલતો હતો. તે સમયે ભાજપ 117 સીટો પર જ્યારે શિવસેના 171 સીટો પર ચૂંટણી લડતી હતી.
શિવસેના માટે ચૂંટણીમાં એકલા લડવુ સાબિત થશે નુકશાનનો સોદો
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે વર્ષોથી ગઠબંધન ધર્મ નિભાવી રહેલ શિવસેના શું એકલી સત્તાની સીડી ચડવાનો દમ રાખે છે? શિવસેનાના જ ઘણા નેતા એ માનવા તૈયાર નથી. તેમને ડર છે કે જો 2019 લોકસભા ચૂંટણીમાં એનડીએ સત્તામાં પાછી ફરી તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જ તેનો ફાયદો મળશે. આવી સ્થિતિમાં શિવસેના અલગ પડી જશે કારણકે ભાજપ ઈચ્છે તો તેને એનસીપીનું સમર્થન મળી શકે છે પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેનાને ભાજપ સિવાય કોઈ પક્ષનું સમર્થન મળવું અશક્ય રહેશે.