વિધાનસભા ચૂંટણીને પગલે મહારાષ્ટ્રમાં 166માંથી 44 ટોલ પ્લાઝા બંધ કરાશે
મુંબઇ, 10 જૂન : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા એક મહત્ત્વના નિર્ણયમાં રાજ્ય સરકારે 44 ટોલનાકાને બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ટોલ ટેક્સને મુદ્દે થઈ રહેલા અનેક આંદોલનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન ટોલ પ્લાઝાના મુદ્દે જવાબ આપતાં જણાવ્યું હતું કે જાહેર બાંધકામ ખાતાના 34 અને એમએસઆરડીસી (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના 10 ટોલ નાકાને એમ કુલ 44 ટોલ પ્લાઝા ટુંક સમયમાં બંધ કરી દેવાશે.
આ ટોલ નાકાને બંધ કરવા માટે રાજ્ય સરકારે રૂપિયા 306 કરોડની જોગવાઈ કરી છે. આ વળતર ટોલ નાકાના કૉન્ટ્રેક્ટરોને આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ 166 ટોલનાકા છે જેમાંથી સાર્વજનિક બાંધકામ ખાતાના 73, એમએસઆરડીસીના 53 અને કેન્દ્ર સરકારના અખત્યારમાં આવતા 40 ટોલનાકા છે.
રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલા ટોલનાકામાંથી નાસિક વિભાગમાં 13, પુણે વિભાગમાં સાત, નાગપુરમાં બે, અમરાવતીમાં એક, ઔરંગાબાદમાં ચાર અને બીજા 11 નાના ટોલનાકાનો સમાવેશ થાય છે.
અજીત પવારે એમ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારને તેમના અખત્યારમાં આવતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના 40 ટોલનાકાને બંધ કરી દેવાની વિનંતી પણ કરવામાં આવી છે. ટોલ નાકાને બંધ કરવાની જાહેરાતને આવકારતાં ટોલ સામે ફેબ્રુઆરીમાં આક્રમક આંદોલન કરનારા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે દેર આયે દુરસ્ત આયે.
રાજ ઠાકરેએ વધુંમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અખત્યારમાં રહેલા 126માંથી હજી તો 44 ટોલનાકા બંધ થયા છે. બાકીના 82 ટોલનાકા ચાલુ છે તે ભુલવું જોઈએ નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ટોલનાકાને રદ કરતી વખતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફટકો ન પડે તેવી ગણતરી કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે રાખી હોવાનું લાગી રહ્યું છે.
બીજી તરફ વિધાનપરિષદમાં વિપક્ષી નેતા વિનોદ તાવડેએ ટોલનાકા બંધ કરવાના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે સ્વ. ગોપીનાથ મુંડેને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જોકે સરકારે બધા જ ટોલનાકા બંધ કરવાની આવશ્યકતા હતી. મુંડેના અભ્યાસી વર્તનને કારણે જ ટોલની પોલ પકડાઈ હતી. બધા ટોલનાકા બંધ ન કરીને ભુજબળે મુંડેને અડધી જ શ્રદ્ધાંજલિ આપી છે.