105 વર્ષીય વૃદ્ધ અને તેમની 95 વર્ષીય પત્નીએ કોરોનાને આપી મ્હાત, 9 દિવસ ICUમાં રહીને સ્વસ્થ આવ્યા ઘરે
મહારાષ્ટ્રના કાટગાંવના ટાંડા ગામમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિએ 9 દિવસ હોસ્પિટલમાં આઈસીયુમાં રહ્યા બાદ પણ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના કાટગાંવના ટાંડા ગામમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિએ 9 દિવસ હોસ્પિટલના આઈસીયુમાં રહ્યા બાદ પણ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે. 105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને 95 વર્ષીય મોટાબાઈ કોરોના વાયરસથી રિકવર થઈ ગયા છે. કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલ આ બંને વૃદ્ધ લાતૂરની વિલાસરાવ દેશમુખ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના આઈસીયુમાં 9 દિવસ ભરતી હતા. તેમનો ઈલાજ કરનાર ડૉક્ટરોએ કહ્યુ કે આ બંને 100ને પાર વૃદ્ધોએ કોરોના વાયરસને હરાવી દીધો છે. આ વૃદ્ધ દંપત્તિના દીકરા સુરેશ ચવ્હાણે કહ્યુ છે કે જ્યારે તે પોતાના કોવિડ પૉઝિટિવ માતાપિતા માટે હોસ્પિટલ શોધી રહ્યા હતા ત્યારે ગામમાં તેમના પડોશીઓએ ચેતવ્યા હતા કે તેમની ઉંમરે જે કોઈ પણ કોવિડ હોસ્પિટલમાં જાય છે તે ઘરે પાછા નથી આવતા. દીકરાએ કહ્યુ કે તેના માતાપિતાએ કોરોનાથી રિકવર થઈને એ બધાને ખોટા સાબિત કરી દીધા છે.
વૃદ્ધના પરિવારમાં 5 લોકો હતા કોરોના સંક્રમિત
24 માર્ચ 2021ના રોજ સુરેશ ચવ્હાણના પરિવારના કુલ 5 લોકો કોરોનાથી સંક્રમિત હતા. સુરેશ ચવ્હાણે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને કહ્યુ, 'અમે એક જોઈન્ટ પરિવારમાં રહીએ છીએ. મારા માતાપિતા ઉપરાંત, ત્રણ બાળકો પણ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. મારા માતાપિતાને ખૂબ જ તાવ હતો, પિતાના પેટમાં પણ અસહ્ય દુઃખાવો હતો અને એટલા માટે મે બંનેને હોસ્પિટલમાં ભરતી કરવાનો નિર્ણય કર્યો.'
|
વૃદ્ધ દંપત્તિનો ઈલાજ કરનાર ડૉક્ટરે શું કહ્યુ?
વૃદ્ધ દંપત્તિના દીકરા સુરેશ ચવ્હાણે કહ્યુ કે સરકારી મેડિકલ કૉલેજમાં તેને પોતાના માતાપિતા માટે બેડ મળ્યા હતા. જે તેના ગામથી 3 કલાકના અંતરે છે. સુરેશે કહ્યુ, 'મારા માતાપિતા બહુ જ ગભરાયેલા હતા અને માટે હું પણ ડરી ગયો હતો પરંતુ મને ખબર હતી કે તેમને ઘરે રાખવાનો નિર્ણય ખોટો ગણાશે.' વૃદ્ધ દંપત્તિનો ઈલાજ કરનાર ડૉક્ટર ગજાનન હલ્કંચેએ કહ્યુ, 'તેમનો સીટી સ્કોર 15/25 હતો, જે તેમની ઉંમરને જોતા એક ચિંતાનો વિષય હતો. તે બંને ઑક્સિજન સપોર્ટ પર હતા. તેમને એંટીવાયરલ રેમડેસિવિર ઈંજેક્શનના પાંચ ડોઝ આપવામાં આવ્યા હતા.'
અમે કોરોના જંગમાં સરકારની મદદ માટે તૈયારઃ સોનિયા ગાંધી
અનિલ દેશમુખે કહ્યુ - તેમનુ ઠીક થવુ એક આશાનુ કિરણ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખે 105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને 95 વર્ષીય મોટાબાઈના કોરોના વાયરસથી રિકવર થવા અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. અનિલ દેશમુખે ટ્વિટ કર્યુ છે, 'દરેક કાળા વાદળો બાદ રોશની આવે છે. લાતૂરના કટગાંવ ટાંડાના ધેનુ ચવ્હાણ(105 વર્ષ) અને તેમના પત્ની મોટાબાઈ ચવ્હાણ(95 વર્ષ) જેવા વૃદ્ધ નાગરિકોનુ ખૂંખાર બિમારી સામે લડવુ અને કોવિડ-19થી રિકવર થવાની વાત સાંભળીને એક આશાની કિરણ આવે છે અને પ્રેરિત કરે છે.'