મનીષ સિસોદિયાએ અમિત શાહને દિલ્લીમાં 'તોડફોડ અભિયાન' રોકવા માટે કરી અપીલ
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 'તોડફોડ અભિયાન' રોકવા અપીલ કરી છે.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમને રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) શાસિત ત્રણ નગર નિગમો દ્વારા ચલાવવામાં આવી રહેલા દબાણ વિરોધી અભિયાનના કારણે શહેરમાં થઈ રહેલ તોડફોડને રોકવાનો આગ્રહ કર્યો છે. સિસોદિયાએ એક ઑનલાઈન પત્રકાર સંમેલનમાં દાવો કર્યો છે કે નગર નિગમોએ દિલ્લીમાં 63 લાખ મકાન તોડવાની યોજના બનાવી છે.
સિસોદિયાએ કહ્યુ કે, 'આમાંથી 60 લાખ મકાન ઘણા અનધિકૃત કૉલોનીમાં છે જ્યારે ત્રણ લાખ એવા મકાન છે જેમના ધાબા નિશ્ચિત સીમાથી બહાર છે. અમને જાણવા મળ્યુ છે કે આ અંગે નોટિસ પણ મોકલી દેવામાં આવી છે.' તેમણે કહ્યુ કે, 'તે રાષ્ટ્રીય રાજધાનીમાં વ્યાપક સ્તરે તોડફોડ કરવાના છે. દિલ્લીની લગભગ 70 ટકા વસ્તી બેઘર થઈ જશે.'
તેમણે વધુમાંકહ્યુ, 'આમ આદમી પાર્ટી આ તોડફોડ અભિયાનનો વિરોધ કરે છે અને મેં આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. મેં તેમને પત્ર લખીને કહ્યું છે કે આ (તોડફોડ અભિયાન) બંધ કરવામાં આવે. જો બુલડોઝર ચલાવવાનું હોય તો તેને ભાજપના નેતાઓ અને નાગરિક સંસ્થાના પ્રતિનિધિઓના નિવાસસ્થાન પર ચલાવો જેમણે આવા માળખાના બાંધકામની મંજૂરી આપવા માટે લાંચ લીધી હતી.'
ગુરુવારે દિલ્હીના મદનપુર ખાદરમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન વિરોધ અને પથ્થરમારો થયો હતો જ્યાં સ્થાનિકોએ દાવો કર્યો હતો કે બુલડોઝરોએ કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત બાંધકામોને પણ તોડી પાડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે દક્ષિણ-પૂર્વ દિલ્હી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને તોફાનો કરવા અને જાહેર સેવકોને તેમની ફરજ નિભાવતા અટકાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.