કોંગ્રેસ એકલી નહીં કરી શકે મોદીનો મુકાબલો: મણિશંકર ઐયર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એકલી ભાજપનો મુકાબલો નહીં કરી શકે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કોંગ્રેસના શરમજનક પરાજય બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પાર્ટીની રણનીતિ અંગે સવાલો કર્યા છે. મણિશંકર ઐયરે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વમાં મોટા પરિવર્તનની જરૂર છે. તેમણે કહ્યું કે, વર્ષ 2019માં જો અમારે ભારતીય જનતા પાર્ટી ને રોકવી હશે તો જીત મેળવવા મહાગઠબંધનની રાણનીતિ અપનાવવી પડશે. તેમણે વર્ષ 2004 અને 2009માં કરેલા પ્રયોગ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, વર્ષ 2019માં પણ તેમણે આવી જ કોઇ રણનીતિ બનાવવી પડશે.
સપા-કોંગ્રેસ સાથે બસપા પણ હોત પરિસ્થિતિ અલગ હોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે, વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેલ એકલી ભાજપનો મુકાબલો નહીં કરી શકે. નરેન્દ્ર મોદી ને રોકવા હશે તો કોંગ્રેસ પાર્ટીએ મહાગઠબંધનની યોજના બનાવવી પડશે. તેમણે બિહાર ચૂંટણીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જે રીતે બિહારમાં મહાગઠબંધન કરી ચૂંટણી લડી ભાજપને મોટો પરાજય આપ્યો હતો તે મુદ્દો યાદ રાખવા જેવો છે. યુપીમાં પણ અમે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, પરંતુ સપા પહેલેથી જ કૌટુંબિક વિવાદ સામે ઝઝૂમી રહી હતી. જેને કારણે અમને વધુ ફાયદો ન થયો. તેમણે કહ્યું કે, યુપીમાં જો બસપા સુપ્રીમો માયાવતી પણ સપા-કોંગ્રેસ ગઠબંધન સાથે થયા હોત તો આજે પરિસ્થિતિ કંઇક અલગ હોત.
અહીં વાંચો - BJPની બેઠકમાં બોલ્યાં મોદી: હું નહીં બેસુ, બેસવા પણ નહીં દઉં
કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તન જરૂરી
મણિશંકર ઐયરે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અત્યંત નબળી પડી ગઇ છે. પાર્ટીમાં અનેક પરિવર્તનો અને બદલીની જરૂર છે. કોંગ્રેસ નેતૃત્વમાં પરિવર્તન દ્વારા જ પાર્ટીમાં મજબૂત બની શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના મહાસચિવ પદેથી વડીલોની હકાલપટ્ટી થવી જોઇએ, આ પદે યુવાઓને તક આપવી જોઇએ. મણિશંકર ઐયરે કહ્યું કે, વરિષ્ઠ નેતાઓએ પાર્ટી સંગઠનમાં કામ કરવું જોઇએ. ભાજપને વર્ષ 2019ની ચૂંટણીઓમાં રોકવા માટે અમારે બીજા દળો સાથે ગઠબંધન કરવું જરૂરી છે. વર્ષ 2004 અને 2009માં મહાગઠબંધન કર્યું હતું, જેનો અમને ખૂબ ફાયદો મળ્યો હતો.