પંજાબમાં ભ્રષ્ટાચારીઓ સામે માન સરકારની લાલ આંખ, હવે ભાજપ નેતા પણ સંકંજામાં
પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માનની સરકાર ભ્રષ્ટાચાર સામે સતત એક્શન લઇ રહી છે. પહેલાથી જ માન સરકાર ભ્રષ્ટ કોંગ્રેસ નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે. જે બાદ હવે માન સરકારની રડારમાં ભાજપ નેતા પણ આવી ગયા છે.
જલંધર : પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માનની સરકાર ભ્રષ્ટાચાર સામે સતત એક્શન લઇ રહી છે. પહેલાથી જ માન સરકાર ભ્રષ્ટ કોંગ્રેસ નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે. જે બાદ હવે માન સરકારની રડારમાં ભાજપ નેતા પણ આવી ગયા છે. ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકારે જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી ડૉ. સાધુ સિંહ ધરમસોત સામે કાર્યવાહી કરી, ત્યારે કોંગ્રેસના પૂર્વ મંત્રીઓ અને નેતાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રીઓને ખ્યાલ આવ્યો કે, જો તેઓ કોંગ્રેસમાં જ રહેશે, તો તેમની સામે ભગવંત માન સરકાર દ્વારા તકેદારી કાર્યવાહી કરવામાં આવશે. તેનાથી ગભરાઈને કોંગ્રેસના પૂર્વ મંત્રીઓએ ભાજપમાં શરણ લેવાનું શરૂ કરી દીધું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ પોતાની પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ કર્યું હતું. ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રીઓને આશા હતી કે, મુખ્યમંત્રી ભગવંત માન સરકાર તેમને હાથ નહીં લગાડે, પરંતુ કોંગ્રેસના પૂર્વ મંત્રીઓની આ ધારણા પણ ખોટી સાબિત થઈ છે.
અત્યાર સુધી ભારત ભૂષણ આશુ સહિત કોંગ્રેસના પૂર્વ મંત્રીઓની ધરપકડ થઇ હતી, પરંતુ હવે મુખ્યમંત્રી ભગવંત માનેૉ સરકાર દ્વારા ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રીઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ભાજપના અન્ય ઘણા પૂર્વ કોંગ્રેસી મંત્રીઓ પણ ડરી ગયા છે.
મુખ્યમંત્રી ભગવંત માન સરકારે કડક વલણ અપનાવ્યું છે કે, તેઓ કોઈપણ ભ્રષ્ટાચારી પર દયા નહીં રાખે. ભગવંત માન સરકાર દ્વારા આગામી દિવસોમાં પૂર્વ અકાલી મંત્રીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે અને પૂર્વ અકાલી સરકાર દરમિયાન થયેલા કૌભાંડો પણ ખુલી શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. હવે આગામી દિવસોમાં કેન્દ્રની ભાજપ સરકાર સાથે ભગવંત માન સરકારનો મુકાબલો પણ વધી શકે છે.