જ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...
ગંદકી જોઇને મનમાં ગુસ્સો જાગવો જોઇએ. આવા મુદ્દા પ્રત્યે મનમાં રોષ ન હોય તો 'સ્વચ્છ ભારત'નું નિર્માણ શક્ય નથી.
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મનની વાત કાર્યક્રમની 30મી આવૃત્તિમાં સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો હતો. સ્વચ્છતા અભિયાન માટે લોકોને જાગૃત કરવા પીએમ મોદીએ કહ્યું હતું કે, ગંદકી જોઇને મનમાં ગુસ્સો જાગવો જોઇએ. આવા મુદ્દા પ્રત્યે મનમાં રોષ ન હોય તો 'સ્વચ્છ ભારત'નું નિર્માણ શક્ય નથી.
આ સાથે જ તેમણે દેહરાદુનની એક 16 વર્ષની યુવતીની વાત કરી હતી, જેણે પીએમને સ્વચ્છતા અંગે અપીલ કરી હતી. પીએમ મોદી તેની અપીલથી એટલા પ્રભાવિત થયા હતા કે, તેમણે મનની વાત કાર્યક્રમમાં તેની ઓડિયો ક્લિપ લોકોને સંભળાવી હતી.
વધતી ગંદકી માટે સરકાર અને જનતા બંન્ને જવાબદાર
આ 16 વર્ષીય યુવતીનું નામ છે ગાયત્રી સિંહ, તે દેહરાદુનના અજબપુર કાલા વિસ્તારમાં રહે છે. પીએમ મોદીના જણાવ્યા મુજબ તેણીએ પોતાના ફોન મેસેજમાં જણાવ્યું હતું કે, રિસ્પાના નદી જાણે કચરો ફેંકવાની જગ્યા બની ગઇ છે. ગાયત્રીએ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેણીએ જણાવ્યુ હતું કે, 'દેશમાં વધતી ગંદકી માટે સરકાર અને જનતા બંન્ને જવાબદાર છે અને લોકોએ આ અંગે પોતાની જવાબદારી સમજવી જોઇએ. કચરાના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો નદીમાં કચરો ફેંકે છે.'
અહીં વાંચો - વહેલી સવારે ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠી સિક્કિમની ધરતી
ગંદકી પ્રત્યે લોકોના મનમાં રોષ હોવો જોઇએ
સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા માટે પીએમ મોદીએ ગાયત્રીની ઓડિયો ક્લિપનો ઉપયોગ કર્યો હતો. આ ક્લિપ લોકોને સંભળાવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, 'દેશમાં સ્વચ્છતા જરૂરી છે, આ માટે જ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાયત્રીના સંદેશમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઇએ. દેશમાં ફેલાતી ગંદકી પ્રત્યે ગાયત્રીના મનમાં રોષ છે અને દરેક નાગરિકના મનમાં આવા મુદ્દાને લઇ રોષ હોવો જ જોઇએ. એ રીતે જ આપણે સ્વચ્છ ભારતની દિશામાં આગળ વધી શકીશું.'