ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
નીટ મુદ્દે ભાજપ કાર્યાલય ખાતે વાલીઓનો દેખાવ
ગાંધીનગર સ્થિત આવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ભવનમાં ભાજપના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વાલીઓએ નીટ મુદ્દે પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. વાલીઓ "નો નીટ ધીસ ઇયર, નીટ હટાવો ગુજસેટ લાવો" જેવા બેનર સાથે મોટી સંખ્યામાં આવી દેખાવ કર્યો હતો.
NEET માટે કેન્દ્ર સરકારને પણ થશે રજૂઆત: વિજય રૂપાણી
તો બીજી તરફ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કોર કમિટીની બેઠકમાં પણ નીટનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠક બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ મામલે શુક્રવારે નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં દિલ્હી જઈ કેન્દ્ર સરકારને રજૂઆત કરશે. જેમાં ખાસ કરીને ગુજરાતી ભાષામાં નીટની પરીક્ષા લેવાય તેવી માંગ કરવામાં આવશે.
વડોદરામાં પરિણીતાનો આપઘાત, પિયરીયાનો હત્યાનો આક્ષેપ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી ધરતી મિસ્ત્રીએ પારિવારિક કલેશને કારણે આપઘાત કર્યો હતો. યુવતીના લગ્ન જિજ્ઞેશ મિસ્ત્રી નામના યુવક સાથે થયા હતા અને તેને દોઢ વર્ષનો દક્ષ નામનો પુત્ર પણ છે. ઘટનાને પગલે દોડી આવેલી યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી જ્યારે પણ ઘેર આવતી કે વાત કરતી હતી ત્યારે કહેતી હતી કે તમે તમારું કર્તવ્ય પુરૂ કર્યું છે મારી અર્થી મારા સાસરેથી જ નીકળશે. માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીના જિજ્ઞેશ સાથે ઝઘડા થતા હતા અને જિજ્ઞેશ આવીને સમાધાન કરી ધરતીને લઈ જતો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડમાં બંધ ટ્રક નીચેથી મળી આવ્યું નવજાત બાળક
ગોંડલ ખાતેના માર્કેટ યાર્ડ પાસેથી નવજાત બાળક મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બંધ ટ્રેક નીચેથી બાળકના રડવાનો અવાજ સાંભળીને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બાળકના માતા પિતાની શોધખોળ આદરી હતી. પરંતુ કળિયુગમાં બાળકને જન્મઆપીને માતા ફરાર થઈ જતા લાગતા પોલિસને જાણ કરવામાં આવી હતી. અને બાળકને સારવાર અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
અમરેલીના બાબરામાં વાવાઝોડાને કારણે ગર્લ્સ સ્કૂલની દીવાલ પડી
ગુજરાતના વાતાવરણમાં ન ધારેલો ફેરફાર જોવા મળી રહ્યો છે ગત અઠવાડિયે જ્યાં અમરેલીમાં તાપમાન ત્રાહિમામ પોકારાવતું હતું તો ગત સાંજના સુમારે બાબરામાં ભારે વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. સાથે જ કે.પી.આશરા ગર્લ્સ સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઇ ગઇ હતી.
હળવદમાં કોળી રાજપૂત જૂથ વચ્ચે અથડામણ
હળવદ તાલુકાના કવાડિયા ગામે મંગળવારે રાત્રે જૂની અદાવત તથા મનદુખને કારણે અથડામણ થઈ હતી જેમાં સાતથી વધુ લોકોને ઇજા પહોંચી છે આ ઘટનામાં મંગળવારે રાત્રે કોળી ઠાકોર અને રાજપૂત જ્ઞાતિના વચ્ચે ગામના બસ સ્ટેન્ડ નજીક અથડામણ થઈ હતી. કોળી ઠાકોર સેનાના ટોળા કવાડિયા ગામમાં જઇ રાજપૂત સમાજની બોલેરો ગાડીને કેરોસીન છાંટી આગચંપી કરી હતી. આ અથડામણમાં ઇજાગ્રસ્તોને મોરબી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.
વાપીમાં ટ્રક ઘરમાં ઘૂસી જતા માતાનું મોત, બાળકો ઇજાગ્રસ્ત
વાપીના સેલવાસમાં ડુંગરા સ્થિત સડક ફળિયા વિસ્તારમાં બ્રહ્મદેવ મંદિર રહેતા રમેશ દીનદયાળ વર્માનો પરિવાર અચાનક વિખેરાઈ ગયો હતો. જમીને શાંતિથી સૂઈ રહેલા પરિવાર ઉપર ટ્રક સ્વરૂપે યમદૂત ત્રાટક્યા હતા. ટ્રક નંબર જીજે05-યુ-2243નો ચાલક વાપી તરફ આવી રહ્યો હતો. ત્યારે ડ્રાઇવરે વળાંક ઉપર કંટ્રોલ રાખી ન શકતા ટ્રક સીધી રમેશ વર્માના ઘરની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી જેમાં ઘરમાં સૂતેલી રમેશ વર્માની 30 વર્ષની પત્ની સીમાદેવીનું મોત થયુ હતું તો બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.
અછત રાહત સમિતિની બેઠકમાં વધુ 121 ગામો અછતગ્રસ્ત જાહેર થયા
મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આગેવાનીમાં તેમની નિવાસ્સ્થાને અછત રાહત સમિતિની બેઠક મળી હતી. જેમાં વધુ 121 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય મંત્રીઓની હાજરીમાં રાજ્યની અછત રાહતની સ્થિતિની સમીક્ષા કરવામાં આવતી હોય છે, પરંતુ આજની બેઠકમાં સીએમ પોતે ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે પાણીની તંગીને લઈને 398 ગામોમાં 500 થી વધારે પાણીના ટેંકરથી પાણી પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, 35.53 લાખ પરિવારોને મનરેગા યોજનાથી રોજગારી આપવામાં આવશે.