હાથી પર સવાર નહિ થઈ શકે રાહુલ, માયાવતીએ ચૂંટણી પહેલા છોડ્યો સાથે
હાથી પર સવાર નહિ થઈ શકે રાહુલ, માયાવતીએ ચૂંટણી પહેલા છોડ્યો સાથે
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં માયાવતીના હાથી (બસપા) પર સવાર થઈને કોંગ્રેસ ચૂંટણી જંગ લડવાનું વિચારી રહી હતી, પણ માયાવતીએ કોંગ્રેસની તમામ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસને સૌથી મોટો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે માયાવતીએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસથી અલગ ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી. માયાવતીએ છત્તીસગઢમાં અજીત જોગી સાથે હાથ મિલાવ્યા અને બીજી બાજુ મધ્ય પ્રદેશમાં પણ પોતાના 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસનું કહેવું છે કે એમને માયાવતીના આવા નિર્ણયની અપેક્ષા નહોતી કેમ કે હજુ તેમની વાતચીત ચાલી રહી હતી. તો આખરે એવું તો શું કારણ હતું કે માયાવતીએ વાતચીતની અધવચ્ચેથી જ કોંગ્રેસથી અલગ થઈ જવાનો ફેસલો લઈ લીધો. આવો જાણીએ...
છત્તીસગઢથી યૂપી પર નિશાન
યૂપીની રાજધાની લખનઉથી માયાવતીએ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું. રાજકીય જાણકારો મુજબ આની પાછળ માયાવતીની એક મોટી રણનીતિ છે. માયાવતી 2019માં બનનાર મહાગઠબંધનમાં બસપાને સન્માનજનક સીટ આપવાની સતત માંગ કરી રહી છે. જોકે માયાવતી માટે યૂપી અતિ મહત્વનું છે, માટે તેમણે છત્તીસગઢમાં ગઠબંધનનું એલાન લખનઉથી કરી યૂપીમાં ગઠબંધનના હિમાયતીઓને એક સંદેશો આપ્યો છે.
લોકસભામાં વધુ સીટ મેળવવા માયાવતીનું રાજકારણ
અજીત જોગી સાથે મળીને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાનની સાથે જ માયાવતીએ મધ્યપ્રદેશ માટે 22 ઉમેદવારોની યાદીનું પણ એલાન કરી દીધું છે. અત્યાર સુધીના રાજકીય હાલાતોને જોતા કહેવામાં આવી રહ્યું છે કે માયાવતીની બહુજન સમાજ પાર્ટી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં એકલા હાથે ચૂંટણીમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે માયાવતી અત્યારે વિધાનસભા નહિ પણ લોકસબા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ત્યારે માયાવતી એવો માહોલ બનાવવા માંગે છે કે જેના કારણે લોકસભા 2019 વખતે મહાગઠબંધનમાં બહુજન સમાજ પાર્ટીને એમના મન મુજબ સીટો મળે. મધ્ય પ્રદેશમાં 50 સીટોની એમની માગણી ન માનવા પર એકલા હાથે ચૂંટણી લડવાનો ફેસલો પણ આ રણનીતિનો જ એક ભાગ છે.
સવર્ણ સમાજની નારાજગી
એટ્રોસિટી એક્ટના વિરોધમાં સવર્ણ સમાજની નારાજકીની અસર ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી પડશે તે નક્કી છે. સવર્ણોના ભારત બંધ દરમિયાન મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ વિરોધ પ્રદર્શન થયું હતું. એસસી/એસટી એક્ટની જોગવાઈઓને લઈને નારાજ સવર્ણ સમાજનો રૂખ ભાજપ અને કોંગ્રેસ પ્રત્યે એકસરખો જ છે. રાજકીય જાણકારો મુજબ આવા હાલાતમાં માયાવતીને આશંકા હતી કે એમણે કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડી તો ગઠબંધનમાં બસપાના ઉમેદવારો જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી સવર્ણ સમાજના વોટ તેમને નહી મળી શકે.
કર્ણાટકનો ફોર્મ્યુલા અપનાવવાની તૈયારી
કોંગ્રેસ માટે મહત્વના માનવામાં આવી રહેલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં માયાવતીએ જેડીએસ સાથે ગઠબંધન કર્યું. આ ગઠબંધનનો ફાયદો એચડી કુમારસ્વામીને પણ મળ્યો, તો માયાવતીને પણ આનાથી લાભ થયો. બાદમાં યૂપીમાં ગોરખપુર, ફૂલપુર અને કૈરાના લોકસભા સીટો પર સપા-બસપા ગઠબંધનને મળેલી જીતે નવા રાજકીય સમીકરણોને હવા આપી દીધી. હવે માયાવતી છત્તીસગઢમાં અજીત જોગીની સાથે ગઠબંધન કરી 2019 પહેલા વધુ એક વાર બસપાના મહત્વને કોંગ્રેસ સમક્ષ રાખવા ઈચ્છે છે.
ડીંગ ઝીંકતા કોંગ્રેસી નેતાઓને સંદેશ
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ 2019 લોકસભા માટે મહાગઠબંધન બનાવવાની કોશિશમાં લાગ્યા છે, ત્યારે પાછલા દિવસોમાં સચિન પાયલટે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ પોતાના દમ પર એકલા હાથ જ ભાજપને હરાવવાની ક્ષમતા ધરાવે છે. સચિન પાયલટનો ઈશારો રાજસ્થાનમાં પસબાના સાથને લઈને હતો. રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ માયાવતીની સાથે ગઠબંધનને લઈને કોંગ્રેસી નેતાઓના નિવેદનો આવ્યાં, જેના પર માયાવતીએ નારાજગી વ્યક્ત કરી. માયાવતીએ સ્પષ્ટ રીતે કહી દીધું કે આત્રણેય રાજ્યોમાં નિવેદનોનો વરસાદ કરી રહેલા કોંગ્રેસી નેતાઓ ધ્યાનમાં રાખે કે યૂપીમાં ફરી એજ નિયમ લાગૂ થઈ શકે છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એકલા ચૂંટણી લડવાના નિર્ણયથી માયાવતીએ કોંગ્રેસના ડીંગ ઝીંકતા નેતાઓને એક પ્રકારનો સંદેશ આપ્યો છે.