બોર્ડર ખોલવા ખેડૂતો અને હાઈ પાવર કમિટી વચ્ચે બેઠક, જલ્હી હલ આવી શકે!
છેલ્લા એક વર્ષથી નવા કૃષિ કાયદા માટે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો તેની માંગણીઓ માટે સતત દિલ્હીની સરહદો પર છે.
નવી દિલ્હી, 26 ઓક્ટોબર : છેલ્લા એક વર્ષથી નવા કૃષિ કાયદા માટે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો તેની માંગણીઓ માટે સતત દિલ્હીની સરહદો પર ઉભા છે. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે હરિયાણા સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે મંગળવારે ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જો કે હજુ સુધી રસ્તો ખોલવા અંગે કોઈ સમજૂતી થઈ નથી, પરંતુ સમિતિએ આશા વ્યક્ત કરી હતી કે બંને પક્ષો વધુ વાતચીત ચાલુ રાખશે.
આ મામલે હરિયાણાના અધિક મુખ્ય સચિવ રાજીવ અરોરાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની હાઈ પાવર કમિટીએ બહાદુરગઢમાં ખેડૂતોના આંદોલનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. જેમાં દિલ્હી ટીકરી બોર્ડર પરથી દેખાવકારોને હટાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. અમે રસ્તાઓ ફરીથી ખોલવા માટે કામ ચાલુ રાખીશું. બેઠકમાં ACS ઉપરાંત DGP PK અગ્રવાલ, ADGP સંદીપ, કમિશનર પંકજ યાદવ, ઝજ્જર DC શ્યામલાલ પુનિયા, ઝજ્જર SP વસીમ અકરમ અને સોનીપત SP રાહુલ શર્મા પણ હાજર હતા.
બેઠકમાં ખેડૂતો ઉપરાંત ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ સામેલ થયા હતા. પોતાની માંગણીઓ રાખતા વેપારીઓએ કહ્યું કે ટિકરી અને સિંઘુ બોર્ડર 11 મહિના કરતા વધુ સમયથી બંધ છે. જેના કારણે સામાન લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેમની ફેક્ટરીઓમાં પણ કામ અટકી ગયું છે, જેથી વહેલી તકે રસ્તો ખુલ્લો કરવામાં આવે. આ અંગે અધિકારીઓએ કહ્યું કે તે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યાંથી રાજ્ય સરકારને આ મામલે હાઈ પવાર કમિટી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે બાદ તેની રચના કરવામાં આવી હતી. બીજી તરફ બેઠક પછી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કહ્યું કે સરકાર તેમને કાયદાકીય રીતે ફસાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ તે બધુ સમજે છે. દિલ્હી અને હરિયાણા પોલીસે રસ્તો બંધ કરી દીધો છે, માત્ર પોલીસ જ તેને ખોલી શકે છે. હવે આ બેઠકોમાંથી કોઈ નિર્ણય નીકળે છે કે કેમ તે જોવાનું રહેશે.