મિશન 2014 : ભાજપની 20 સમિતીઓમાં સ્થાન આપી નાખુશને ખુશ કરાયા
નવી દિલ્હી, 20 જુલાઇ : મિશન 2014 એટલે કે લોકસભા ચૂંટણી 2014ને કેન્દ્રમાં રાખીને દેશના મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપે)એ જોરદાર તૈયારીઓ આરંભી દીધી છે. આ તૈયારીઓની માહિતી આપતા પાર્ટીના નેતા અનંત કુમારે શુક્રવારેનવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ચૂંટણી પ્રચાર સમિતિએ 20 અલગ અલગ પેટા-સમિતિઓની રચના કરી છે. તેમાં કામગીરી બજાવવા માટે પક્ષના મોવડીઓને નિયુક્ત કર્યા છે. આ દ્વારા પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓને નારાજ કરવાને બદલે સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પક્ષપ્રમુખ રાજનાથ સિંહ અને સિનિયર નેતા એલ કે અડવાણીને સામેલ કરાયા છે. આ સમિતિઓ દેશભરમાં પક્ષની રેલીઓ, જાહેર સભાઓનું આયોજન કરશે, ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે, પ્રચારમાધ્યમોમાં જાહેરખબરો પ્રચારનું કાર્ય સંભાળશે, સમાજમાં યુવાઓ, મહિલાઓ, વ્યવસાયિકો, ગ્રામીણ તથા શહેરી મતદારો, એમ જુદા જુદા વર્ગોના લોકોનો સંપર્ક કરશે, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર કરશે, પાર્ટીના નેતાઓના પ્રવાસ પ્લાન નક્કી કરશે.
ઘોષણા પત્ર સમિતિમાં મુરલી મનોહર જોશી છે જ્યારે સદસ્ય સમિતિમાં જશવંત સિંહ, યશવંત સિંહા, પ્રેમ કુમાર ધુમલ, સત્યપાલ માણિક વગેરે છે. ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રચાર, પ્રિન્ટ મીડિયા પ્રચાર માટેની સમિતિમાં સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, અમિત શાહ, ડો સુધાંશુ ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષ સંપર્ક કલ્યાણ સમિતિમાં નીતિન ગડકરી, સી પી ઠાકુર, મૃદુલા સિંહા, કિરણ મહેશ્વરી છે.
અનંત કુમાર અને વરુણ ગાંધી નેતાઓની રેલીના આયોજનની જવાબદારી સંભાળશે જ્યારે ઓનલાઈન પ્રચાર સમિતિની આગેવાની પીયૂષ ગોયલને સોંપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ માટે સંકલનની જવાબદારી મુખ્તાર અબ્બાસ નક્વીને અપાઈ છે. પેમ્ફલેટ્સ, બુકલેટ્સ કમિટીના વડા બલબીર પુંજ છે.
કાનૂની બાબતો તથા ચૂંટણી પંચ સંબંધિત પ્રશ્નોની સમિતિનો હવાલો સતપાલ જૈન અને ભૂપેન્દ્ર યાદવને સોંપાયો છે. 2014ની ચૂંટણી માટેનો પ્રચાર ભાજપ ઓગસ્ટથી શરૂ કરશે. તે દેશભરમાં 100 જેટલી રેલીઓ, જાહેર સભાઓ યોજશે. આ સમિતિઓની રચના કરવાનો નિર્ણય ગુરુવારે પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણયાત્મક સમિતિ છે. તેમાં નરેન્દ્ર મોદી સહિત ટોચના નેતાઓએ હાજરી આપી હતી.