મોદી અને અડવાણીનો એક મત : મતદાન ફરજિયાત બનાવો
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણી વચ્ચેના મન ભેદ અને મત ભેદોએ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ મુદ્દે અવાર નવાર કોઇને કોઇ મુદ્દો ઉપસ્થિત થતો રહે છે. ભાજપ માટે આ બાબત નકારાત્મક બની શકે તેવું કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે. જો કે તાજેતરમાં 36નો આંક ધારવતા બંને નેતાઓ એક મુદ્દે એકમત જોવા મળ્યા હતા. જી હા. આપને નવાઇ થશે. પણ હકીકત છે કે મતદાન મુદ્દે બંને એકમત થયા છે. આ મુદ્દે બંનેએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે મતદાનને ફરજિયાત બનાવવું જોઇએ.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નન ઓફ દ એબોવ ઓપ્શન - NOAO (ઉપરના વિકલ્પમાંથી એક પણ નહીં)ને મંજુરી આપ્યા બાદ હવે પછી યોજાનારી દરેક ચૂંટણીઓમાં તેનો ઉપયોગ થવાનો છે ત્યારે બંને નેતાઓએ જણાવ્યું છે કે નન ઓફ દ એબોવ ઓપ્શનની સાથે મતદાનને ફરજિયાત બનાવવું જોઇએ.
આ અંગે અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે હું સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકારું છું અને માનું છું કે નાગરિકો પાસે નેગેટિવ વોટિંગનો અધિકાર હોવો જોઇએ. આ જોગવાઇની સાથે મતદાન ફરજિયાત બનાવવું જોઇએ.
નોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીને ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અઘ્યક્ષ બનાવવાની સાથે પીએમ પદના ઉમેદવાર બનાવવાનો વિરોધ કરનારા અડવાણીએ મતદાન ફરજિયાતની દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ આરંભવાનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં મતદાનને ફરજિયાત બનાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. આ માટે નરેન્દ્ર મોદીએ બે વાર વિધાનસભામાં આ સંદર્ભનું બિલ પાસ કરાવ્યું છે. જોકે રાજ્યપાલ અને દિલ્હી તરફથી તેને હજી સુધી મંજુરી મળી શકી નથી.
અડવાણીએ જણાવ્યું કે વિશ્વમાં 31 દેશોમાં વોટિંગ ફરજિયાત છે. જો કે તેમાંથી માત્ર 12 જેટલા દેશો વિવિધ જોગવાઇઓ કરીને તેને વાસ્તવમાં અમલી બનાવી શક્યા છે.