મોદી પ્રત્યે બદલાયો છે મુસ્લિમોનો નજરીયો, મદનીના નિવેદનથી વિવાદ
દિલ્હીના ફતેહપૂરી મસ્જીદના શાહી ઇમામ મુફ્તી મુકર્રમે જણાવ્યું કે જે મદનીએ કહ્યું છે મને તેનાથી કોઇ મતલબ નથી, જ્યા સુધી મુસલમાનોનો સવાલ છે, મુસ્લીમ મોદીને માફ નહી કરી શકે. મોદીએ ગુજરાત રમખાણો પર અફસોસ પણ વ્યક્ત નથી કર્યો અને માફી પણ નથી માંગી.
જ્યારે ધર્મગુરુ ખાલિદ રશીદે જણાવ્યું કે ગુજરાત ચૂંટણીમાં કેટલાક મુસ્લીમોએ મોદી માટે વોટ કર્યો હશે પરંતુ એનો અર્થ એ નથી કે દેશના તમામ મુસ્લીમ સમુદાય તેમનું સમર્થન કરી રહ્યા છે.
મુસ્લીમ વિચારક ડો. જેએસ બંદુકવાલાએ જણાવ્યું કે અમે ભૂમિગત હકીકત પર કામ કરીએ છીએ અને મદની સાહેબે જે નિવેદન આપ્યું છે તેનાથી લોકોમાં ખોટો સંદેશો જશે. તેમણે જણાવ્યું કે આજે પણ ગુજરાતના મુસલમાનો રમખાણની પીડાથી દુ:ખી છે.
જોકે મોદી પ્રત્યે મુસ્લીમો દ્વારા કુણું વલણ અખત્યાર કરાતા કોંગ્રેસના નેતાઓએ મોદી સામે સીધો હુમલો કર્યો છે. સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ જણાવ્યું કે મુસ્લીમોના સૌથી મોટા દુશ્મન નરેન્દ્ર મોદી છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી સમાજના વિભિન્ન ભાગોમાંથી મોદીની ટીકા થઈ છે, સવાલ એ છે કે શું દેશ મોદીને પીએમ તરીકે સ્વીકાર કરશે.
જોકે મોદીના બચાવમાં રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે ગુજરાતના વિકાસ મોડેલે મુસ્લીમોના વિચાર બદલ્યા છે. પરંતુ એ વાત કોંગ્રેસ પચાવી નથી શકતી. ગુજરાત સરકારના કાનૂન રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે વિકાસની રાજનીતિએ મોદીને લોકપ્રિય નેતા બનાવ્યા છે.