મોદીને હતું 2002ના રમખાણોનું દુઃખ, રાજીનામું આપવા હતા તૈયાર
નવી દિલ્હી, 26 માર્ચઃ બ્રિટિશ લેખક અને ટીવી પ્રોડ્યુસર એન્ડી મારિનોએ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 2002માં રાજ્યમાં થયેલા રમખાણોથી દુઃખી હતા પરંતુ કંઇ ખોટુ કરવાની લાગણી અનુભવી નહોતી. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોદી પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માગતા હતા પરંતુ પાર્ટીએ તેમને આમ કરતા અટકાવ્યા હતા.
પુસ્તક અનુસાર 2002ના રમખાણો પર મોદીએ કહ્યું, ‘ જે થયુ તેનો મને દુઃખ છે પરંતુ કોઇ ખોટુ કર્યાની લાગણી નથી અને કોઇ અદાલત એ સ્થાપિત કરવાની(રમખાણમાં તેમની ભૂમિકા) નજીક પણ નથી પહોંચી.' આ 310 પેજના પુસ્તકમાં એ ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે, મોદી રમખાણો બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માગતા હતા, પરંતુ પાર્ટીએ તેમને પદ પર બની રહેવા કહ્યું હતું.
મારિનોએ કહ્યું, ‘ભાજપના દિગ્ગજ નેતાએ સંભવતઃ પહેલીવાર ઓન રેકોર્ડ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે રમખાણો બાદ મુખ્યમંત્રી રહેવા માગતા નહોતા, કારણ કે તેમણે નિર્ણય કર્યો કે આ રાજ્યની જનતા સાથે અન્યાય થશે, જે તેમના કારણે ભારે ટીકાનો ભોગ બની. મોદીએ ગોધરા ઘટના બાદ થયેલા રમખાણોના એક મહિના પછી 12 એપ્રિલ 2002માં પણજીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં મુખ્યમંત્રી પદેથી હટવાનો નિર્ણય કર્યો હતો.'
મોદીએ પણજી બેઠકમાં કહ્યું,‘ હું ગુજરાત અંગે કહેવા માગુ છુ. પાર્ટીની દૃષ્ટિએ આ એક ગંભીર મુદ્દો છે. આ મુદ્દે ચર્ચાની જરૂર છે અને એ માટે હું રાજીનામું આપવા માગુ છું. એ સમયે આ અંગે નિર્ણય કરવાનો છે કે આ બિંદુથી પાર્ટી અને દેશ કઇ દિશામાં જવો જોઇએ.' મોદીએ મારિનોને કહ્યું, ‘ હું આ પદેથી હટવા માગતો હતો, પંરતુ મારી પાર્ટી મને છોડવા તૈયાર નહોતી, ગુજરાતના લોકો મને છોડવા તૈયાર નહોતા... હું એ સ્થિતિમાં હતો. એ મારા પર નિર્ભર નહોતુ. હું પાર્ટીના અનુશાસન વિરુદ્ધ જવા તૈયાર નહોતો, હું મારી પાર્ટી સાથે લડવા માગતો નહોતો. મારા નેતા જે કહે, મારે તેનું પાલન કરવું જોઇએ.'