બાલ ઠાકરેની પુણ્યતિથિએ મોદી શિવસેના સાથે સંબંધો મજબૂત બનાવશે?
મુંબઇ, 10 નવેમ્બર : મુંબઇ અને મહારાષ્ટ્રમાં જેનો ભારે દબદબો છે તેવી શિવસેના પાર્ટીના સ્થાપક બાલ ઠાકરેની પ્રથમ પુણ્યતિથિ 17 નવેંબરે આવી રહી છે. આ દિવસે દાદરના શિવાજી પાર્ક ખાતે પોતાના સદ્દગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર મહારાષ્ટ્રમાંથી પાંચ લાખથી પણ વધારે શિવસૈનિકો હાજર રહે એવો અંદાજ છે.
આ પ્રંસંગને અવસરે એવી અટકળો વહેતી થઇ છે કે આ દિવસે ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે પણ ઉપસ્થિત રહે એવી ધારણા છે. બાલ ઠાકરેની પ્રથણ પુણ્યતિથિ માટેની સ્મરણાંજલિ સભાના આયોજનની જવાબદારી મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના નેતા અને ગોરેગામના વિધાનસભ્ય સુભાષ દેસાઈએ લીધી છે.
માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ભાજપ એનડીએના ઘટક પક્ષ એવા શિવસેનાને પોતાની સાથે જ રહેવા માટેના આગ્રહરૂપ આ સભામાં નરેન્દ્ર મોદીની ખાસ હાજર રહેવા જણાવી શકે છે. જેના કારણે બંને પાર્ટી વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરી શકાય. ઉલ્લેખનીય છે કે એનડીએના ઘટકપક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છેલ્લા કેટલાક સમયથી ભાજપની વિરુદ્ધમાં બોલી રહ્યા છે.
આવતા રવિવારે નિર્ધારિત સ્મૃતિદિન સભા માટે શિવસેનાના પ્રમુખ અને બાલ ઠાકરેના પુત્ર ઉધ્ધવ ઠાકરે સવારે આઠ વાગ્યાથી આખો દિવસ શિવાજી પાર્કમાં હાજર રહેશે એવું સૂત્રોનું કહેવું છે. ભાજપનાં નેતાઓ સુષ્મા સ્વરાજ, રાજીવ પ્રતાપ રુડી, નીતિન ગડકરી, ગોપીનાથ મુંડે, વિનોદ તાવડે તેમજ કોંગ્રેસના નેતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર, છગન ભૂજબળ, ગૃહ પ્રધાન આર આર પાટીલ વગેરે ટોચના નેતાઓ પણ હાજર રહે એવી ધારણા છે.