બાગપત, 29 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના બાગપતમાં ભારત વિજય રેલીમાં કેન્દ્ર સરકાર પર વરસ્યા હતા તથા કોંગ્રેસ મુક્ત ભારતનું જનતાને આહવાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ બાગપતને વીરોની ભૂમિ ગણાવતાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સરકારના રહેતાં દેશમાં જવાનોને સન્માન મળ્યું નથી. સેનામાં એક રેંક અને પેંશનનો મુદ્દો હજીસુધી ઉકેલાયો નથી.
દેશની રક્ષા કરનારાઓની દેશમાં રક્ષા થઇ રહી નથી. પડોશી દેશ પાકિસ્તાન જવાનોના માથા કાપી લે છે. આ સરકાર શું કરે છે? એકદમ સ્નેહ સાથે પાકિસ્તાનના વડાપ્રધાનને ચિકન બિરયાની ખવડાવીને સ્વાગત કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમય બદલાઇ રહ્યો છે, 1857માં કમળ અને રોટીનો નારો હતો પરંતુ હવે 2014 કમળ અને મોદી નારો છે. સમયની માંગ છે, કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે.
નરેન્દ્ર મોદીએ પૂર્વ ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહને યાદ કર્યા અને તેમના પુત્ર અજિત સિંહ પર નિશાન તાકતાં કહ્યું હતું કે પૂર્વ ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહે ખેડૂતો માટે લડાઇ લડતા રહ્યાં. કોંગ્રેસ પણ છોડી દિધી. પરંતુ પુત્રએ સત્તા સુખ માટે પિતાના આદર્શોને છોડી દિધા. પિતાને પરેશાન કરનાર પાર્ટીના ખોળામાં પુત્ર બેસી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અજિત સિંહ યુપીએ સરકારમાં મંત્રી હતા.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોની દશા માટે કોંગ્રેસ જવાબદાર છે. ખેડૂતોને શેરડીના પૈસા મળતા નથી. દેશનું પેટ ભરનાર આજે ભૂખે મરે છે. હું પૂછું છું કે કોણ દેશની ખાંડ ચાવી ગયું? ખેડૂતો કેમ પરેશાન છે? તે કોઇ જવાબ આપતું નથી.
નરેન્દ્ર મોદીએ દેશનું દુર્ભાગ્ય છે કે શહીદ જવાનો કરતાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા છે. જય જવાન જય કિસાન નારો હવે મર જવાન મર કિસાન થઇ ગયો છે. કોંગ્રેસના લીધે સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. કોંગ્રેસે ખેડૂતોને દયનીય બનાવી દિધા છે.
નરેન્દ્ર મોદીએ લોકોને આહવાન કરતાં કહ્યું હતું કે દિલ્હીમાં તો ભાજપ અને સહયોગીઓની સરકાર બનવાની છે. તમને અપીલ કરું છું કે જેના પર વિશ્વાસ ન હોય તેમના વિશ્વાસે દેશ આપશો નહી. મારે તો દેશ માટે જીવવું મરવું છે એટલે બાગપતમાં મારે કમળ જોઇએ છે.