નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાત પર સૌની નજર, મમતાની મમતા મળશે ખરી?
આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોડેલ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા ઓટોમોબાઇલ અને એન્સિલરી ઉદ્યોગને વિકસાવવાના પગલાંઓ અંગે વાત કરશે. તેમની સમગ્ર વાત પશ્ચિમ બંગાળના સિંગૂર માંથી ટાટા નેનોનો કાર પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં ખસેડવામાં આવ્યો ત્યાર બાદ ઉભી કરવામાં આવેલી તાત્કાલિક વ્યવસ્થાઓ અંગે હશે.
ઉલ્લેખનીય છે કે ટાટા નેનો કાર પ્લાન્ટ વર્ષ 2008માં સિંગૂરમાંથી ખસેડી લેવામાં આવ્યો હતો. સિંગૂરમાં ડાબેરી સરકાર દ્વારા જમીન અધિગ્રહણના મુદ્દે સખત વિરોધ કરવામાં આવતા ટાટાએ સમગ્ર પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય લીધો હતો.
કોલકાતા મુલાકાતમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદનું સન્માન 70 જેટલા ગુજરાતી સંગઠનો દ્વારા કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. અહીં તેઓ રાજ્યના આર્થિક, સામાજિક અને રાજકીય વાતાવરણ પર પ્રભાવ ધરાવે છે.
બીજી તરફ હજી સુધી એવા કોઇ સંકેતો મળ્યા નથી કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી નરેન્દ્ર મોદીને મળવાના છે કે નહીં. આ ઉપરાંત એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીએમસી અને ડાબેરી પક્ષના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવે.
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં નાના અને મધ્યમ કદના અનેક ઉદ્યોગો પશ્ચિમ બંગાળમાંથી ગુજરાતમાં ખસી ગયા છે. આ ઉપરાંત રાજ્યનો ઓટોમોબાઇલ એન્સિલરી ઉદ્યોગ પણ ગુજરાતમાં રોકાણ કરવા અંગે તપાસ કરી રહ્યો છે.