નરેન્દ્ર મોદીએ લીધા તિરૂપતિ બાલાજીના આશીર્વાદ, સંબોધશે પાંચ ચૂંટણી સભા
તિરૂપતિ, 1 મે : ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી આજે આંધ્ર પ્રદેશના ચૂંટણી પ્રચાર પ્રવાસે છે. આંધ્ર પ્રદેશમાં મોદી પાંચ ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. આ પહેલા તેમણે અહીંના પ્રસિદ્ધ ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પૂજા વિધિ કરી હતી. નરેન્દ્ર મોદી તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ સાથે સવારે તિરૂપતિ મંદિર પહોંચ્યા હતા.
જનસેનાના સંસ્થાપક અને કેન્દ્રીય મંત્રી ચિરંજીવીના ભાઇ તથા અભિનેતાથી નેતા બનેલા પવન કલ્યાણ પણ બંને નેતાઓ સાથે મંદિર પહોંચ્યા હતા. મંદિરના સૂત્રોએ જણાવ્યું કે તેઓ અંદાજે 20 મિનીટ સુધી મંદિરમાં રહ્યા હતા. મોદી મંદિરમાંથી રવાના થાય એ પહેલા મંદિરના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર કરીને મોદીને આશીર્વાદ આપ્યા હતા.
તિરૂપતિ મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ત્રણેય ત્યાંથી 40 કિલોમીટર દૂર આવેલા શ્રીકલાહસ્તીમાં વાયુલિંગેશ્વરના નામે જાણીતા ભગવાન શિવની આરાધના કરી હતી. ત્યાર બાદ તેઓ મદનપલ્લીમાં એક સભાને સંબોધિત કરવા ગયા હતા. તેમની સુરક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આજે નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશમાં કુલ પાંચ ચૂંટણી સભાઓને સંબોધવાના છે. આ તમામ સભાઓમાં ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ તેમની સાથે રહેશે. નરેન્દ્ર મોદી આંધ્રમાં મદનપલ્લી, નેલ્લુર, ગંટુર, ભીમાપલ્લી અને વિશાખાપટ્ટનમમાં રેલીઓને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે ટીડીપી સાથેના ગઠબંધન બાદ ભાજપની સ્થિતિ આંધ્રપ્રદેશમાં વધારે મજબૂત બની છે. આજની રેલી બાદ યુતિને વધારે મજબૂતી મળશે.