મધર ટેરેસાની મિશનરીએ 1.20 લાખમાં વેચ્યુ 14 દિવસનું બાળક
ઝારખંડમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં રાંચીમાં જેલ રોડ સ્થિત મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીની એક મહિલા કર્મીને પોલિસે નવજાતને વેચવાના આરોપમાં ધરપકડ કરી છે.
ઝારખંડમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં રાંચીમાં જેલ રોડ સ્થિત મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીની એક મહિલા કર્મીને પોલિસે નવજાતને વેચવાના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલે પોલિસે બીજી બે સિસ્ટરની પણ ધરપકડ કરી છે. જ્યારે ઝારખંડ સરકારે પણ મિશનરી પર લાગેલા આ આરોપો મામલે તપાસના આદેશ આપ્યા બાદ બાળક વેચવા મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
14 દિવસના નવજાતને 1.20 લાખમાં વેચ્યુ
બાળક વેચવાના આ મામલાની તપાસ રાંચીની બાળ કલ્યાણ સમિતિએ શરૂ કરી દીધી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મિશનરીમાં કામ કરનારી સિસ્ટર પર 14 દિવસના નવજાતને 1.20 લાખમાં વેચવાનો આરોપ લાગ્યો. યુપીના સોનભદ્ર જિલ્લાના એક દંપત્તિએ મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટી સામે બાળ કલ્યાણ સમિતિમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ રૂપા વર્માની ફરિયાદના આધારે મહિલાકર્મી અનિમા ઈંદવારની 5 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
સોનભદ્રના દંપત્તિને વેચ્યુ હતુ બાળક
ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના એક દંપત્તિએ બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો અને ફરિયાદ કરી હતી કે ‘નિર્મલ હ્રદય' નામની સંસ્થાએ એ બાળકને પાછુ લઈ લીધુ જે 14 મે ના રોજ આપ્યુ હતુ. આ દંપત્તિએ રૂપા વર્માને જણાવ્યુ કે તેમણે 1 મે ના રોજ 1.2 લાખ રૂપિયા આ બાળકને લેવા માટે આપ્યા હતા. દંપત્તિએ જણાવ્યુ કે તેમને 1 જુલાઈના રોજ મિશનરીઝ ઓફ ચેરિટીમાં પ્રક્રિયા પૂરી કરવાના બહાને બોલાવવામાં આવ્યા અને બાળકને છીનવી લીધુ.
ત્રણ મહિલાકર્મીઓએ ચાર બાળકોને વેચ્યા
આ મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલિસે જણાવ્યુ કે ચેરિટીની ત્રણ મહિલા કર્મીઓએ ચાર બાળકો વેચ્યા છે જેમાં ત્રણ ઝારખંડમાં અને એક બાળક ઉત્તરપ્રદેશમાં વેચ્યુ છે. વળી, પોલિસનું કહેવુ છે કે આ મામલે બીજી પણ ધરપકડ કરવામાં આવી શકે છે.