મુંબઇ રેલવે બ્રિજ દુર્ઘટના: 'સરકાર પર હત્યાનો કેસ થવો જોઇએ'
મુંબઇના પરેલ એલફિંસ્ટન રેલવે બ્રિજ અંગે શિવસેના સાંસદ દ્વારા તે સમયના રેલવે મંત્રી સુરેશ પ્રભુને પત્ર લખવામાં આવ્યો હતો.
શુક્રવારે મુંબઇના પરેલ એલફિંસ્ટન રેલવે બ્રિજ પર લગભગ 22 લોકોનું મૃત્યુ તયું હતું અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બ્રિજ વિશે કહેવાઇ રહ્યું છે કે, આ ઘણા વર્ષો જૂનો બ્રિજ હતો અને આ અંગે ઘણા નેતાઓએ રેલવે વિભાગને પત્રો પણ લખ્યા હતા. આ બ્રિજ પર થયેલ દુર્ઘટના બાદ હવે આવો જ એક પત્ર સામે આવ્યો છે, જે 23 એપ્રિલ, 2015ના રોજ શિવસેના સાંસદે તે સમયના રેલ મંત્રી સુરેશ પ્રભુને લખ્યો હતો. આ પત્રમાં સાંસદ દ્વારા આ ફૂટ ઓવરબ્રિજને પહોળો કરવાની માંગણી કરવામાં આવી હતી. આ પત્રના જવાબમાં રેલ મંત્રીએ કહ્યું હતું કે, આ માટે રેલવે પાસે ફંડ નથી અને સાથે ગ્લોબલ માર્કેટમાં મંદીની વાત પણ કહી હતી.
શિવસેના સાંસદ રાહુલ શિવાલેના પત્ર પર કોઇ કાર્યવાહી કરવામાં નહોતી આવી. આ સિવાય શિવસેનાના અન્ય એક સાંસદ અરવિંદ સાંવતે પણ રેલવે મંત્રીને 20 ફેબ્રૂઆરી, 2016ના રોજ એક પત્ર લખ્યો હતો અને ફરી એકવાર બ્રિજ પહોળો કરવાની જ માંગણી કરવામાં આવી હતી. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં પત્ર લખનાર સાંસદે જણાવ્યું કે, તે સમયના રેલવે મંત્રી ઉપરાંત સંસદમાં પણ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યારેય આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે, એલફિંસ્ટન રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર ભાગદોડ થવાને કારણે 22 લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટના શુક્રવારે સવારે 9.30ની આસપાસ થઇ હતી, પુલ તુટવાની અફવાને કારણે દોડભાગ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. હાલ મુંબઇમાં વરસાદ પણ ઘણો છે, આથી એ સમયે બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ દુર્ઘટના બાદ હવે શિવસેનાએ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, 'સરકાર પર મનુષ્યવધ માટે એફઆઈઆર નોંધાવી જોઇએ અને રેલવે વિભાગ પર પણ કેસ થવો જોઇએ.' તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે પણ કહ્યું હતું કે, 'આવી ઘટનાઓથી સરકાર બદનામ થઇ ચૂકી છે. સરકારની નજર લોકોની હેરાનગતિ તરફ જતી જ નથી. રેલવે બ્રિજની ઘટના બાદ એ વાત સામે આવી છે કે, આ ઘટના સરકારની ગેજવાબદારીનું પરિણામ છે.'