સિંધુરક્ષકમાં યુદ્ધ સામાગ્રી યોગ્ય સ્થાને મૂકવામાં આવી ન હતી
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : ભારતના મુંબઇમાં આવેલા ડોકયાર્ડમાં ડીઝલ અને વીજલીથી સંચાલિત સબમરીન 'સિંધુરક્ષક'ના ડૂબી જવાનું કારણ હવે બહાર આવ્યું છે. સિંધુરક્ષક સબમરીનમાં વિસ્ફોટ થયા બાદ સબમરીન ડુબી જવાનું કારણ એ હતું કે તેમાં યુદ્ધ સામગ્રીનો દારૂ ગોળો મુકવા માટે સુરક્ષાના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે દુર્ઘટના સર્જાઇ હતી અને ભારતીય નૌસેનાને મોટો ઝટકો લાગ્યો હતો.
સબમરીનમાં યોગ્ય સ્થાને યોગ્ય રીતે દારૂ ગોળો મુકવામાં નહીં આવ્યો હોવાને કારણે જ સબમરીનમાં વિસ્ફોટ થયો હતો. આ માહિતી કોચીનમાં આયોજિત ભારતની પ્રથમ નૌસૈનિક અને સબમરીન નિર્માણ પ્રદર્શન 'નામએક્સપો 2013'ના ઉદઘાટનમાં નૌસેનાના નજીકના સૂત્રોએ આપેલી માહિતીના આધારે મળી છે. આ ઉપરાંત સબમરીનમાં તોડફોડ થઇ હોય કે અન્ય કારણોને લીધે તે ડૂબી હોય તે બાબતનો ઇનકાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર તપાસ કાર્ય સબમરીનને પાણીની નીચેથી બહાર કાઢીને તપાસ કરવામાં આવે તે પછી જ કરી શકાશે. આ કાર્ય પૂરુ થવામાં હજી પણ મહિનાઓ લાગી શકે એમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ સબમરીનને પાણીની બહાર કાઢવા માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવશે જેમાં ભારત અને ભારત બહારની કંપનીઓ ભાગ લેશે.